સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં એક અત્યંત મહત્વનો વળાંક સામે આવ્યો છે. હર્ષ પંડ્યાના પિતા ડો. સુભાષ પંડ્યા પોતે ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર તપાસ પ્રક્રિયા સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે, પોલીસે માત્ર હલકી કલમો હેઠળ જ ગુનો નોંધ્યો છે અને મુખ્ય દોષિતો સામે કોઈ કડક પગલાં લેવામાં આવી રહ્યા નથી. આ ઉપરાંત, તેમણે એન્ટી રેગિંગ કમિટીની ભૂમિકા પર પણ શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે કમિટી પણ જવાબદારોને છાવરી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ઘટનાના બે દિવસ પહેલા HODને કરાઈ હતી લેખિત ફરિયાદ
ડો. સુભાષ પંડ્યાએ મીડિયા અને પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેમના પુત્ર હર્ષે આપઘાત કર્યાના માંડ બે દિવસ પહેલા જ વિભાગના HODને રેગિંગ અંગેની લેખિત ફરિયાદ સોંપી હતી. આમ છતાં, કમિટીએ પોતાના અહેવાલમાં માત્ર અન્ય નવ વિદ્યાર્થીઓ સાથે જ રેગિંગ થયાનું દર્શાવ્યું છે અને હર્ષના કિસ્સાને રેગિંગમાં ગણ્યો જ નથી. પિતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આ મામલે બિનજામીનપાત્ર ગુનો દાખલ થવો જોઈતો હતો, પરંતુ સિસ્ટમે કોઈ યોગ્ય કાર્યવાહી કરી નથી.
