સુરતના સહારા દરવાજા ગરનાળા નીચે આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ST બસે 4 થી 5 વાહનચાલકોને અડફેટે લેતા પાંચ લોકોને ઈજા થઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિકોએ ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યો
પ્રાથમિક માહિતી અનુસાર, સહારા દરવાજા ગરનાળા પાસેથી પસાર થઈ રહેલી એક ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC)ની બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. બસે રસ્તા પર જઈ રહેલા અનેક નાના વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી પાડ્યો હતો. લોકોની પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે આ અકસ્માત થયો હતો. જોકે, આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતા જ પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને કારણે સહારા દરવાજા વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









