સમગ્ર રાજ્યમાં લોકોએ દિવાળી તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી. એક સપ્તાહ લાંબા મીની વેકેશનને લોકોએ મનભરીને માણ્યું હતું. લાંબી રજાઓ બાદ આવતીકાલ રવિવારે લાભપાંચમના દિવસે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત સમગ્ર રાજ્યના વેપારીઓ તેમની પેઢીમાં પૂજા-પાઠ કરાવ્યા બાદ સોમવારથી વેપાર-ધંધા શરૂ કરશે. જોકે મોટી સંખ્યામાં વેપારીઓ બહારગામ હોવાથી રાબેતા મુજબ વેપાર શરૂ થવામાં એકાદ અઠવાડિયાનો સમય વીતી જશે તેવી શક્યતા છે.


દિવાળીના તહેવારનો છેલ્લો દિવસ એટલે કે લાભપાંચમના દિવસને સારા કામની શરૂઆત માટે શુભ માનવામાં આવે છે તેથી વેપારીઓ દિવાળીની રજા બાદ લાભપાંચમથી ફરીથી વેપાર શરૂ કરે છે. રવિવારે લાભપાંચમ હોવાથી કાપડ માર્કેટ, હીરા કારખાના, લૂમ્સ કારખાના, મોલ્સ, દુકાનો, નાના-મોટા શોપિંગ કોમ્પ્લેક્સ સહિત અન્ય વેપારી સંસ્થાઓ અને ઓફિસોમાં પણ પૂજા કરવાની તૈયારી કરી રાખી છે. પરંપરા મુજબ લાભપાંચમના શુભ દિવસે વેપારીઓ નવા હિસાબી ચોપડાઓથી શરૂઆત કરશે. કાપડ માર્કેટમાં મોટી સંખ્યામાં રાજસ્થાનના વેપારીઓ તેમના પરિવાર સાથે બહારગામ ફરવા ઉપડી ગયા હોવાથી ઓછી સંખ્યામાં વેપારીઓ રહેશે. આ રીતે જ ડાયમંડ યુનિટોમાં પણ મોટી સંખ્યામાં વેપારીઓ સુરતની બહાર હોવાથી કારખાનાઓ નિયમિત રીતે શરૂ થવામાં વધુ 10 દિવસનો સમય લાગે તેમ છે.અમદાવાદમાં પણ હજુ રજાનો માહોલ હોય તેમ બધે દુકાનો અને ઓફિસો બંધ છે. લોકોને જીવન જરૂરી ચીજવસ્તુ મેળવવામાં પણ મુશ્કેલી પડે છે. કેમ કે રજાના માહોલના કારણે દુકાનદાર વહેલી દુકાન વધાવી લે છે. તેના કારણે જો લોકો મોડા પહોંચે કે ભૂલી જાય તો દૂધ-છાશ જેવી વસ્તુ મેળવવા પણ રઝળપાટ કરવો પડે છે.


  • Follow us on: