ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર કમોસમી વરસાદ આફત બનીને આવ્યો છે. અચાનક બદલાયેલા મોસમના કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે, જેનાથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે. આ ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોને રાહત આપવા માટે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક મહત્ત્વપૂર્ણ પત્ર લખ્યો છે.
પત્રમાં દેવા માફીની ભલામણ
ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે, બદલાતા હવામાનને કારણે ગુજરાતના ખેડૂતને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડે છે. વારંવારની નુકસાની અને ઓછી આવકને કારણે ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે. કાનાણીએ સ્વીકાર્યું હતું કે સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ સહાય પાકને થયેલા મોટા નુકસાનની ભરપાઈ કરી શકતી નથી. "આ કારણે સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ," એમ પત્રમાં જણાવવામાં આવ્યું છે.










