સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ફરી એકવાર હિંસક જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જેમાં 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. થાનગઢના ચિત્રાલાખા અને અમરાપર ગામના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આ અથડામણ થઈ હતી. ફાયરિંગ અને હુમલામાં કુલ ચાર લોકોને ઈજા પહોંચી છે.
થાનગઢમાં 8 રાઉન્ડ ફાયરિંગ
પ્રાથમિક માહિતી મુજબ, એક યુવક કારમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ સામાન્ય મુદ્દે બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથો સામસામે આવી ગયા હતા. હિંસક અથડામણ દરમિયાન પહેલા પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ અસામાજિક તત્વો દ્વારા હવામાં કે અન્ય સ્થળે 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.આ ફાયરિંગ અને હુમલામાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા, જે પૈકી બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વળી, ઝઘડા દરમિયાન કારમાંથી રૂપિયા બે લાખ પણ લઈ લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.










