સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાં આવેલ સસ્તા અનાજની દુકાનેથી ગરીબ પરીવારોને મળતો સસ્તા અનાજનો જથ્થો સગેવગે થતો હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસે શનીવારે મોડી સાંજે રેડ કરી હતી. જેમાં સસ્તા અનાજના દુકાનદાર, મજુરો અને જથ્થો લેવા આવનાર સહિત 6ને રૂપીયા 3.37 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે.
સુરેન્દ્રનગર એ ડીવીઝન પીઆઈ એમ.એચ.પુવારની સુચનાથી સ્ટાફ શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. ત્યારે લક્ષ્મીપરામાં આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોને મળનાર ઘઉં, ચોખા સહિતનો જથ્થો સગેવગે થતો હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસે રેડ કરી હતી. જેમાં સસ્તા અનાજના દુકાનદાર રણછોડ તુલસીભાઈ ચાવડાની દુકાનેથી બોલેરો પીકઅપમાં સસ્તા અનાજનો જથ્થો મજુરો દ્વારા ભરાતો હોવાનું નજરે પડયુ હતુ. આથી આ જથ્થો કયાં લઈ જવાય છે તેમ પુછપરછ કરાતા રણછોડ ચાવડા કોઈ સંતોષકારક જવાબ આપી શકયો ન હતો.










