ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે આવેલ રામજી મંદીરમાં ભગવાનની મુર્તીના ધાતુના હારની ચોરીની ઘટના બની હતી. આ બનાવમાં તસ્કર વાવડીના શખ્સને એલસીબી ટીમે માનપુર ગામની સીમમાંથી ઝડપી લીધો છે.


ભગવાનને પહેરાવેલ ધાતુના હાર ચોરી કરીને લઈ ગયા

ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે નીતેશસીંહ હઠુભા ઝાલાના પત્ની રંજનબા ગામના સરપંચ તરીકે સેવા આપે છે. ગામના ઝાંપે રામજી મંદીરમાં મનોજભાઈ સાધુ અને તેમનો પરીવાર પુજા કરે છે. તા. 5 ઓગસ્ટના રોજ સવારે મનોજભાઈએ ફોન કરી નીતેશસીંહને મંદીરના ગર્ભગૃહનું તાળુ તુટેલુ હોવાની જાણ કરી હતી. આથી નીતેશસીંહે જઈને તપાસ કરતા મંદીરમાં ભગવાનને પહેરાવેલ ધાતુના 4 હાર કિંમત રૂપીયા 10 હજારના ચોરાયા હતા. આથી આ અંગે ગામના વડીલો સાથે ચર્ચા કરી તેઓએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે રૂપીયા 10 હજારની કિંમતના ભગવાનને પહેરાવેલ ધાતુના હાર ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની ટીમે વોચ રાખી પ્રવીણ થરેસાને ઝડપી લીધો

આ ફરીયાદ નોંધાતા જ એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફે તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા. જેમાં ધ્રાંગધ્રાના વાવડીનો પ્રવીણ અમરશીભાઈ થરેસા ચોરીના દાગીના વેચવાની પેરવીમાં હોવાનું તથા તે માનપુર ગામની સીમમાં હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફના અજયસીંહ, દશરથભાઈ, સંજયભાઈ, અશ્વીનભાઈ સહિતની ટીમે વોચ રાખી પ્રવીણ થરેસાને ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછમાં તેણે તા. 3-8ના રોજ વઢવાણ તાલુકાના કટુડા ગામે આવેલ મેલડી માતાજીના મંદીરમાં પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. એલસીબી ટીમે ધાતુના હાર, ચાંદીના સીક્કા, મોબાઈલ, બાઈક અને રોકડ સહિત રૂપીયા 54,453ની મત્તા સાથે તેને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના હવાલે કર્યો છે.


  • Follow us on: