સુરેન્દ્રનગર મહાનગરપાલીકામાં છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રાકટ હેઠળ 350થી વધુ સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. ત્યારે આ સફાઈ કર્મીઓને મનપામાં સમાવી લઈ કાયમી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ સાથે કમીશ્નરને લેખીત રજુઆત કરાઈ છે.


સુરેન્દ્રનગર મહાનગરપાલીકા અગાઉ સંયુકત નગરપાલીકા હતી ત્યારથી સફાઈ કામદારો કાયમી અને કોન્ટ્રાકટ હેઠળ ફરજ બજાવે છે. જેમાં 150 કાયમી સફાઈ કામદારો છે. જયારે 350થી વધુ કોન્ટ્રાકટ હેઠળ છે. છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા સફાઈ કામદારોને હવે જયારે મહાનગરપાલીકા બની છે ત્યારે મહાનગરપાલીકાના વર્ગ-4ના કાયમી કર્મચારીઓ તરીકે સમાવેશ કરવાની માંગ સાથે ગુજરાત રાજય કર્મચારી સંઘ દ્વારા મહાનગરપાલીકાના કમીશ્નર ડો. નવનાથ ગવ્હાણેને લેખીત રજુઆત કરાઈ છે. સંઘના મયુરભાઈ પાટડીયા સહિતનાઓના જણાવાયા મુજબ કોન્ટ્રાકટ હેઠળ કર્મીઓનું શોષણ થાય છે.

તેઓને લઘુત્તમ વેતન મુજબ પગાર ચુકવાતો નથી. આ ઉપરાંત તેમના માથે છુટ્ટા કરી દેવાની તલવાર કાયમ લટકતી રહે છે. મનપાની વસ્તી અને વિસ્તાર વધવા છતાં ફુલટાઈમ કોન્ટ્રાકટ હેઠળના કર્મીઓને છાશવારે પાર્ટ ટાઈમ કરી દેવાય છે. સંયુકત પાલીકા સમયે જ તા. 1-9-24ના રોજ કોન્ટ્રાકટ હેઠળના 60 કર્મીઓને છુટ્ટા કરી દેવાયા હતા. ત્યારે આ કોન્ટ્રાકટ હેઠળના સફાઈ કામદારોને વર્ગ-4ના મનપાના કાયમી કર્મીઓ તરીકે સમાવેશ કરવા રજુઆતના અંતે માંગણી કરાઈ છે.


  • Follow us on: