થાનગઢના અનુ. જાતિ સ્મશાનમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા બાદ મૃતકના પુત્રને ગામના જ શખ્સે સ્મશાનમાં રહેતા સાધુએ હુમલો કર્યાની આપવીતી વર્ણવ્યા બાદ થાનગઢ પોલીસે તપાસ કરી દિલ્હીના સાધુ સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢના અનુ. જાતિના સ્મશાનમાં થાનગઢના દિનેશભાઇ સોલંકી ગયા બાદ ગામના જ વિજય બાબુભાઇ પારઘી ચણ નાખવા માટે ત્યાં ગયા હતા અને દિનેશભાઇને ઓટા ઉપર સુતેલા જોઇ પુત્રને જાણ કરતા પરિવારજનો ત્યા દોડી ગયા હતા અને બેભાન અવસ્થામાં તાત્કાલીક હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ડોકટરે મૃત જાહેર કર્યા હતા.પહેલા આ અકસ્માતે મોતની ફરિયાદ દાખલ થઇ હતી. બીજી તરફ થાનગઢના જ પ્રતિક છનાભાઇ પરમાર મેલડી માતાજીના દર્શન કરવા ગયા ત્યારે મેઘાભાઇ પાલાભાઇ પારઘીની સમાધીએ એક સાધુ હતા. જે સાધુએ દિનેશભાઇને લાકડીના ઘા માર્યા હતા અને પડી ગયા હતા. આ બાબતની મૃતકના પુત્ર ભુપેન્દ્રભાઇને તેઓએ જાણ કરી હતી. આ જાણ થતાની સાથે જ પુત્રએ થાનગઢ પોલીસને જાણ કરતાની સાથે જ પીઆઇ ટી.બી.હિરાણી સહિતના સ્ટાફે તપાસ કરતા આ જગ્યામાં રહેતા દિલ્હીના સાધુ હરિદાસ ઉર્ફે ઠાકોર બાપુએ હત્યા કર્યાનો ખુલાસો થતા સાધુ સામે હત્યાનો ગુનો દાખલ કરી આ બાબતની થાનગઢ પોલીસે વધુ તપાસ શરૂ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.










