દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામે પે. સેન્ટર શાળા આવેલી છે. શાળામાં મંગળવારે સવારે શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થયુ હતુ. ત્યારે એક કલાસરૂમમાં અચાનક છતમાંથી પંખો નીચે પડયો હતો. જેના લીધે બે છાત્રોને ઈજાઓ થતા સારવાર માટે વિરમગામ શહેરની શિવ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.


રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં પીપલોદી સરકારી સ્કુલમાં પ્રાર્થના સમયે જ શાળાની છત તુટી પડવાની ઘટના હજુ તાજી જ છે. આ ઘટનામાં 7 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે તા. 29મીને મંગળવારે ગુજરાતના ઝાલાવાડમાં શાળાની છતમાંથી પંખો તુટી પડવાની ઘટના બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પથકોમાં આવેલી સરકારી શાળાઓની સ્થિતિ દયનીય છે. પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા તાયફાઓ કરી કરોડો રૂપિયાનું આંધણ કરતી સરકાર અને તંત્રવાહકો સરકારી શાળાઓમાં ભૌતીક સુવિધાઓ પુરી પાડવા તરફ દુર્લક્ષ સેવે છે. ત્યારે દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામે આવેલ સરકારી પ્રાથમીક શાળામાં છતમાંથી સીલીંગ ફેન તુટી પડવાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ ઝીંઝુવાડામાં પે સેન્ટર પ્રાથમીક શાળા આવેલી છે. શાળામાં ધો. 1થી 8ના બાળકો અભ્યાસ કરે છે. તા. 29મીને મંગળવારે રાબેતા મુજબ શાળા શરૂ થઈ હતી. જેમાં ધો. 7માં અભ્યાસ કરતા બાળકો વર્ગખંડમાં અભ્યાસ કરતા હતા. ત્યારે અચાનક છતમાંથી સીલીંગ ફેન તુટીને બાળકો પર પડયો હતો. જેમાં 12 વર્ષીય વિશ્વરાજસીંહ અને નીર્મળસીંહને ઈજાઓ થઈ હતી. આ અંગે બાળકોના પરીવારજનોને જાણ થતા તેઓ તુરંત દોડી ગયા હતા. અને બાળકોને પ્રાથમીક સારવાર માટે ઝીંઝુવાડા આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા. જયાંથી વધુ સારવાર માટે વિરમગામની શિવ હોસ્પીટલ લઈ જવાયા હતા. આ બનાવથી સમગ્ર જિલ્લાના શિક્ષણ વિભાગમાં ચકચાર ફેલાઈ છે. રાજસ્થાનના ઝાલાવાડમાં બનેલી ઘટનામાં શિક્ષણ વિભાગના અધીકારીઓ અને 10 શિક્ષકો સસ્પેન્ડ થયા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમીક શિક્ષણ વિભાગ શું પગલા ભરે છે? તેના પર સૌની નજર રહેલી છે.


  • Follow us on: