સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા નગરા ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. નગરા ગામ નજીક આવેલી નદીના પાણીમાં ડૂબી જવાથી 4 શ્રમિક યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

સોલાર પ્લાન્ટમાં કામ કરવા આવ્યા હતા મૂળ રાજસ્થાનના યુવકો

ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા ચારેય યુવકો મૂળ રાજસ્થાનના વતની હતા અને સ્થાનિક વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા. કામમાંથી નવરાશ મળતાં ચારેય યુવકો નજીકમાં આવેલી નદીમાં નાહવા માટે ગયા હતા, જ્યાં આ અકસ્માત સર્જાયો હતો.

1 યુવકને બચાવવા જતાં અન્ય 3 પણ ઊંડા પાણીમાં ગરકાવ

નદીમાં નાહતી વખતે એક યુવક અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો અને ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવાના ચક્કરમાં અન્ય ત્રણ મિત્રો પણ એક પછી એક પાણીમાં કૂદી પડ્યા હતા. જોકે, પાણીનો પ્રવાહ અને ઊંડાઈ વધુ હોવાને કારણે ચારેય યુવકો નદીના પાણીમાં ડૂબી ગયા હતા.

સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા, જોરાવરનગર પોલીસ તપાસમાં

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક નદી કાંઠે દોડી આવ્યા હતા અને ભારે જહમત બાદ ચારેય યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ બનાવ અંગે જોરાવરનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ચારેય મૃતદેહોનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - 8 August Top News: 8 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ