ભાવનગર જિલ્લાના તળાજા નજીક આજે સવારે ડુંગળી ભરેલો એક ટ્રક પલટી જતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ ઘટના તળાજાથી મહુવા તરફ જતા માર્ગ પર આવેલા હાજીપરના પાટિયા નજીક બની હતી. ડુંગળી ભરેલો આ ટ્રક તળાજા તરફથી મહુવા તરફ જઈ રહ્યો હતો.
તળાજા નજીક ટ્રક પલટી જતા ટ્રાફિકજામ
પ્રાથમિક માહિતી મુજબ, કોઈક કારણોસર ટ્રકના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો હતો. ટ્રક પલટી જતાં તેમાં ભરેલો માલ-સામાન એટલે કે ડુંગળીનો જથ્થો રોડ પર વેર-વિખેર થઈ ગયો હતો. જેના કારણે માર્ગ પર વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
પોલીસ ઘટનાસ્થળે, ટ્રાફિક ક્લિયર કરાયો
અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રકને હટાવીને અને માર્ગ પર પથરાયેલા ડુંગળીના જથ્થાને દૂર કરીને ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી હતી. સૌથી રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. પોલીસે ટ્રક ડ્રાઇવરની પૂછપરછ કરીને અકસ્માત કયા સંજોગોમાં થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.









