થરાદની સરકારી હોસ્પિટલ હાલમાં જગ્યાના અભાવે ગંભીર હાલાકીનો સામનો કરી રહી છે. આ પરિસ્થિતિમાં દર્દીઓને પૂરતી સારવાર મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ચોમાસાની ઋતુ બાદ તો પરિસ્થિતિ વધુ વણસી છે, કારણ કે વરસાદી પાણીના ભરાવાના કારણે મચ્છરજન્ય રોગોમાં પણ ધરખમ વધારો થયો છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે, પરંતુ જગ્યાના અભાવે દર્દીઓને ક્યાં બેસાડવા અને સારવાર આપવી તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.
થરાદની સરકારી હોસ્પિટલમાં જગ્યા અભાવે હાલાકી
સરકારી હોસ્પિટલમાં જગ્યાની અછત એટલી હદે છે કે ગંભીર દર્દીઓ સહિત અન્ય લોકોને પણ સારવાર માટે કોઈપણ ઉપલબ્ધ જગ્યાએ બેસાડી દેવામાં આવે છે. હોસ્પિટલની અંદર જગ્યા ન હોવાને કારણે ઘણા દર્દીઓ ખુલ્લી જગ્યામાં અથવા બહારના ભાગમાં સારવાર લેતા નજરે પડે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ખાસ કરીને જ્યારે મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધ્યો હોય, ત્યારે ખુલ્લી જગ્યામાં સારવાર લેવી એ જોખમ વધારવા સમાન છે.










