વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા સિકંદરપુરા ગામે આજે એક અત્યંત દુઃખદ અને કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. ગામમાં રામદેવપીરના નેજા લઈને નીકળેલા યુવાનોના સરઘસ દરમિયાન અચાનક વીજ કરંટ ફેલાતાં 8 થી 10 જેટલા શ્રદ્ધાળુ યુવાનો વીજળીના આંચકાથી દાઝી ગયા હતા.

વડોદરાના વાઘોડિયામાં મોટી દુર્ઘટના

મળતી માહિતી મુજબ, સિકંદરપુરા ગામે રામદેવપીર મહારાજના નેજા (ધ્વજ) સાથે યુવાનો ભાવુક થઈને નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતી વખતે નેજાનો ઉપરનો ભાગ અચાનક જ માર્ગ પરથી પસાર થતા ઉચ્ચ દબાણવાળા વીજ તારને અડી ગયો હતો. નેજા સાથે વીજ તારનો સંપર્ક થતાં જ ક્ષણભરમાં જ લોખંડ કે ભીના વાંસ મારફતે કરંટ નીચે સુધી ફેલાઈ ગયો હતો અને નેજો પકડીને ચાલી રહેલા 8 થી 10 યુવાનો તેની ઝપેટમાં આવી ગયા હતા.

રામદેવપીરના નેજા યાત્રામાં 8 થી 10 યુવાનોને લાગ્યો વીજ કરંટ

અચાનક કરંટ લાગતાં જ સરઘસમાં ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ગ્રામજનો અને યાત્રામાં જોડાયેલા લોકોએ ત્વરિત બુદ્ધિ વાપરીને યુવાનોને વીજ સંપર્કથી દૂર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભાજપના સ્થાનિક નેતા વિરેન્દ્રસિંહ જાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.કરંટથી દાઝી ગયેલા તમામ યુવાનોને સમય ગુમાવ્યા વિના 108 અને ખાનગી વાહનો મારફતે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે યુવાનોની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે સિકંદરપુરા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં ચોમાસાની વિદાય પૂર્વે મેઘરાજાની તોફાની બેટિંગ, વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ