વડોદરા એરપોર્ટ ખાતેથી બહુપ્રતિક્ષિત એર કાર્ગો સેવાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. આ મહત્વકાંક્ષી સેવાનું ઉદ્ઘાટન વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ માટે આ સેવા શરૂ થતાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.

સમય અને વાહનવ્યવહાર ખર્ચમાં થશે મોટી બચત

અત્યાર સુધી વડોદરાના ઉદ્યોગકારોને હવાઈ માર્ગે માલસામાન મોકલવા કે મંગાવવા માટે અમદાવાદ કે મુંબઈ એરપોર્ટ પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે સ્થાનિક કક્ષાએ જ એર કાર્ગોની સુવિધા ઉપલબ્ધ થતાં ઉદ્યોગપતિઓના સમય અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં નોંધપાત્ર બચત થશે, જેથી વેપાર-ધંધા વધુ સરળ બનશે.

સ્થાનિક ઉદ્યોગોના વિકાસને મળશે નવો વેગ

વડોદરા એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ અને કેમિકલ ઉદ્યોગોનું મોટું હબ ગણાય છે. એરપોર્ટ પરથી કાર્ગો સેવા શરૂ થવાથી સ્થાનિક ઉદ્યોગો દ્વારા તૈયાર થતો માલ ઝડપથી દેશ-વિદેશના બજારો સુધી પહોંચાડી શકાશે. આ સુવિધાથી વડોદરા અને આસપાસના સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસને એક નવી દિશા અને મોટો વેગ મળશે.

આ પણ વાંચો : Valsad News : દમણ પાવર હાઉસમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી આગ કાબૂમાં લીધી