વડોદરા નજીક આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર, ફાજલપુર ટોલનાકા પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, સમયસૂચકતાના કારણે કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો.


ફાજલપુર ટોલનાકા પાસે કારમાં આગ

પ્રાપ્ત માહિતી અનુસાર, એક પરિવાર સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો. તેમની કાર જ્યારે દિલ્હી-મુંબઈ હાઈવે પર ફાજલપુર ટોલનાકા નજીક પહોંચી, ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. કારના એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને ડ્રાઇવરે તુરંત જ કાર રોકી દીધી હતી. કારમાં પાંચ લોકો સવાર હતા, જેમને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જોકે, આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ગણતરીની મિનિટોમાં જ આખી ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.

ગાડીમાં પાંચ લોકો સવાર હતા

આ બનાવની જાણ થતાં જ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આગની તીવ્રતા એટલી હતી કે ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ આખી કાર સંપૂર્ણપણે નાશ પામી હતી. ફાયર ટીમે સ્થળ પર પહોંચીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે, પરંતુ પરિવારને ભારે આર્થિક નુકસાન થયું છે.

  • Follow us on: