સંસ્કારી નગરી વડોદરામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરા નજીક આવેલા ભીમપુરા પાસે પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક યુવાન અને તેજસ્વી રેસિડેન્ટ ડોક્ટરનું મોત નિપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક ડોક્ટર પોતાના 2 મિત્રો સાથે સાંજના સમયે ભીમપુરા પાસે કેનાલ કિનારે ગયા હતા. આ દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં અથવા અન્ય કોઈ કારણોસર તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ગોત્રી હોસ્પિટલના ડર્મેટોલોજી વિભાગમાં હતા ફાઈનલ યરમાં

મૃતક ડોક્ટરની ઓળખ ડો. ડોડીયા દર્શન બાબુભાઈ તરીકે થઈ છે. ડો. દર્શન ડોડીયા વડોદરાની જાણીતી ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડર્મેટોલોજી (ચામડીના રોગો) વિભાગમાં ફાઈનલ યરમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તબીબી ક્ષેત્રે ખૂબ જ હોનહાર અને આશાસ્પદ તબીબ હતા. પોતાના અભ્યાસના અંતિમ તબક્કામાં પહોંચેલા યુવાન ડોક્ટરના અચાનક આવી રીતે નિધનથી ગોત્રી હોસ્પિટલના સ્ટાફ અને સહકર્મચારીઓમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

સ્થાનિકો અને પોલીસની મદદે મૃતદેહ બહાર કઢાયો

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ ટીમ દ્વારા કેનાલમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહમત બાદ ડો. દર્શન ડોડીયાનો મૃતદેહ કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને આગળની તપાસ અને પોસ્ટ મોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો છે.

Vadodara News: Gotri Hospital Resident Doctor Drowns in Narmada Canal Near Bhimpura

તબીબી આલમ અને પરિવારમાં શોકનો માહોલ

ઘટનાના દુઃખદ સમાચાર પરિવારજનોને મળતાં જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત જ ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરૂણ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. માતૃપ્રેમ અને ઉજ્જવળ ભવિષ્યનું સપનું સેવતા યુવાન પુત્રને ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાથી વડોદરાના સમગ્ર તબીબી આલમમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર ફરી વળી છે.


આ પણ વાંચો - Explainer: રેગિંગનો રાક્ષસ - વ્યાખ્યા, કોર્ટ, કાયદો, સજા અને તમારા અધિકારો