વડોદરા સ્થિત ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC) કંપનીમાં બનેલી ગેસ ગળતરની દુર્ઘટનામાં ઘનશ્યામ ગોહિલ નામના કર્મચારીનું કમનસીબે મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે શોક અને આક્રોશ વ્યાપી ગયો હતો.
કંપની દ્વારા 18.51 લાખની નાણાકીય સહાય જાહેર
ઘટના બાદ વળતર અને ન્યાયની માગ સાથે ચાલી રહેલા વિરોધ વચ્ચે કંપની મેનેજમેન્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મૃતક ઘનશ્યામ ગોહિલના આશ્રિત પરિવારજનોને આર્થિક સહારા માટે રૂ. 18,51,000 ની સહાય રકમ આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પરિવારના એક સભ્યને કંપનીમાં નોકરી આપવામાં આવશે
માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ પરિવારના ભવિષ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપની તંત્ર દ્વારા મૃતકના પરિવારના એક સભ્યને નોકરી આપવાની પણ બાંહેધરી આપવામાં આવી છે. આ નિર્ણયથી પીડિત પરિવારને મોટી સાંત્વના મળી છે.

વળતરની જાહેરાત બાદ મામલો થાળે પડ્યો, પત્નીએ આભાર માન્યો
કંપની તરફથી યોગ્ય વળતર અને નોકરીની માંગણીઓનો સ્વીકાર કરાતાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ આખરે થાળે પડ્યો છે. તમામ ક્ષેત્રે મળેલી મદદ અને સહકાર બદલ મૃતક ઘનશ્યામ ગોહિલની પત્નીએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Vadodara News: વડોદરા GSFC પ્લાન્ટમાં ગેસ ગળતર, સાથી કર્મચારીને બચાવવા જતાં કોન્ટ્રાક્ટ કર્મચારીનું મોત