વડોદરા એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા અને અદ્યતન ટર્મિનલ બિલ્ડિંગને જોતાં તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે નોટિફાઇડ કરવામાં આવ્યું હતું. વડોદરા, આણંદ, નડીઆદ અને ભરૂચ સહિતના મધ્ય ગુજરાતના હજારો એનઆરઆઈ (NRI) પરિવારો યુકે, યુએસએ અને ગલ્ફ દેશોમાં વસે છે. આ પરિવારો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે વડોદરાથી સીધી દુબઈ, શારજાહ કે બેંગકોકની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવે. જોકે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, વિદેશી ઉડાનની આ રાહ હજુ વધુ લાંબી ચાલી શકે તેમ છે.


ગયા વર્ષે માત્ર 4 વિમાનો આવ્યા, એરક્રાફ્ટની વૈશ્વિક તંગી નડી

ગ્રાઉન્ડ ઓડિટ દરમિયાન સામે આવ્યું છે કે વર્ષ 2025માં વડોદરા એરપોર્ટ પર માત્ર 4 આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ ઓપરેટ થયા હતા, જે નિયમિત કોમર્શિયલ ફ્લાઇટ્સ નહોતી. ફ્લાઇટ્સ શરૂ ન થવા પાછળ એરપોર્ટ પ્રશાસનની કોઈ ખામી નથી. વડોદરા એરપોર્ટના ડિરેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે, "ઇન્ટરનેશનલ ઓપરેશન માટે અમારો રનવે, કસ્ટમ્સ ચેકપોસ્ટ અને ઇમિગ્રેશન કાઉન્ટર્સ સંપૂર્ણ રીતે તૈયાર છે. સમસ્યા એ છે કે વૈશ્વિક સ્તરે એરલાઇન્સ કંપનીઓ પાસે વિમાનો અને એન્જિનોની અછત વર્તાઈ રહી છે. જેમ નવી એરલાઇન્સ કંપનીઓ ઓપરેશન માટે તૈયાર થશે, અમે ફ્લાઇટ્સ આવકારવા સજ્જ છીએ."

સાંસદ હેમાંગ જોષી એક્શન મોડમાં

વડોદરાના પ્રવાસીઓને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને વડોદરાના લોકપ્રિય સાંસદ હેમાંગ જોષી દ્વારા આ મામલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) અને ખાનગી એરલાઇન્સ (જેવી કે ઇન્ડિગો, એર ઇન્ડિયા એક્સપ્રેસ) ના ઉચ્ચ અધિકારીઓ સાથે વાટાઘાટો ચલાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના બિઝનેસ હબ અને પ્રવાસનની દ્રષ્ટિએ વડોદરાથી કમસેકમ ગલ્ફ દેશો (દુબઈ/મસ્કત) ની ફ્લાઇટ વહેલી તકે શરૂ થાય તે માટે કાનૂની અને વ્યાપારી પાસાઓ પર ચર્ચાઓ યથાવત રાખવામાં આવી છે. જો બધું બરાબર રહ્યું તો આગામી વિન્ટર શિડ્યુલમાં વડોદરાને કોઈ સારા સમાચાર મળી શકે છે.

આ પણ વાંચો: Junagadh: કુકસવાડામાં ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળનું સફળ રેસ્ક્યુ


  • Follow us on: