વડોદરા જિલ્લાના વાઘોડિયા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદના કારણે સમગ્ર વાઘોડિયા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પંથકના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુતાલ ગામે રામદેવપીરજીના મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાયા
ભારે વરસાદના કારણે વાઘોડિયાના ગુતાલ ગામે આવેલું પવિત્ર રામદેવપીરજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મંદિરના પરિસર તેમજ ગર્ભગૃહ સુધી પૂરના પાણી ઘૂસી જતાં ભક્તો અને સ્થાનિક રહીશોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પવિત્ર યાત્રાધામમાં પાણી ભરાવાના કારણે દૈનિક પૂજા-અર્ચના અને દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
