વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે એક ભયાનક અને સંવેદનશીલ બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગિરોહ દ્વારા છેલ્લા માત્ર દોઢ મહિનાના ટૂંકા ગાળામાં 4 નવજાત બાળકોને મુંબઈમાં વેચી દેવામાં આવ્યા હતા. આ આંતરરાજ્ય ગિરોહ મુખ્યત્વે આર્થિક રીતે અત્યંત ગરીબ અને મજબૂર પરિવારોને શોધીને તેમને મોટી નાણાકીય લાલચ આપતો હતો. ત્યારબાદ માસૂમ નવજાત બાળકોને ખરીદીને ઊંચી કિંમતે અન્ય રાજ્યોમાં વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું.

8 દિવસનું બાળક સુરક્ષિત રેસ્ક્યુ 

આ ગંભીર ગુનાની બાતમી મળતાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સમયસૂચકતા વાપરી દરોડો પાડ્યો હતો અને માત્ર 8 દિવસના એક નવજાત શિશુને સુરક્ષિત રીતે ઉગારી લીધું હતું. આ આખા કાવતરામાં સંડોવાયેલા મનોજ રાવળ, વીણાબેન રાવળ, સુનીલ રાવળ, દલપત રાવળ, નગીન ભગોરા, શ્રવણ પરમાર અને લક્ષ્મણ મૂળી સહિત કુલ 7 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ આરોપીઓ બાળકની ખરીદ-વેચાણ અને વચેટિયા તરીકેની ભૂમિકામાં સીધા સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાત, મુંબઈ અને રાજસ્થાન સુધી પોલીસ તપાસનો ધમધમાટ

આ નેટવર્કના તાર માત્ર વડોદરા પૂરતા સીમિત ન હોવાથી ગુજરાત, મુંબઈ અને રાજસ્થાન સુધી તપાસ લંબાવવામાં આવી છે. મુંબઈ વેચાયેલાં અન્ય બાળકોને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટીમો રવાના કરાઈ છે. આ રેકેટમાં અન્ય કોઈ હોસ્પિટલ કે વચેટિયાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વકની પૂછપરછ અને તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો