વડોદરા જિલ્લામાં પ્રદુષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સંકલન સમિતિની બેઠકમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે, નંદેસરી GIDC માંથી નીકળતી કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી આસપાસની મીની નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે. તેમણે GPCB પર આ કંપનીઓને છાવરવાનો પણ આરોપ લગાવ્યો છે.
સંકલન બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્યનો આક્ષેપ
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, નંદેસરી GIDC ની ઘણી કંપનીઓ પ્રદુષણના નિયમોનો ભંગ કરીને સીધેસીધું કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડી રહી છે, જેના કારણે પર્યાવરણ અને જળચર જીવોને ભારે નુકસાન થઇ રહ્યું છે. આ ઉપરાંત, આ પાણીનો ઉપયોગ કરતા આસપાસના ગ્રામજનોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. તેમણે વધુમાં કહ્યું છે કે, GPCB આ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે તેમને છાવરી રહી છે.
GPCB કંપનીઓને છાવરે છે : ધર્મેન્દ્રસિંહ વાઘેલા
ધારાસભ્યએ આ મુદ્દે CM ને પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે અને GPCB ના નિયમોમાં ફેરફાર કરવાની તથા કેમિકલયુક્ત પાણી છોડતી કંપનીઓને તાત્કાલિક ક્લોઝર નોટિસ આપી બંધ કરાવવાની માગ કરી હતી. ધારાસભ્યના આક્ષેપ બાદ આ મામલે સરકાર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું. પર્યાવરણ સુરક્ષા અને લોકોના સ્વાસ્થ્યને લાગતો આ મુદ્દો અત્યંત ગંભીર હોવાથી વહેલી તકે ઉકેલ આવે તે જરૂરી છે.









