વડોદરા શહેરમાં આગામી ગણેશોત્સવને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ઉત્સાહપર્વક માહોલમાં સંપન્ન કરવા માટે પોલીસ તંત્ર દ્વારા અત્યારથી જ ચુસ્ત અને સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવા માટે આયોજકો અને ડીજે ઓપરેટરો સાથે અગાઉથી જ બેઠકો યોજીને એડવાન્સ પ્લાનિંગ કરી લેવાયું છે, જેથી તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય.

કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે

શહેરમાં અસામાજિક તત્વો પર અંકુશ રાખવા અને સુરક્ષા વ્યવસ્થાને અડગ રાખવા માટે વિશાળ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ શહેરમાં 2500 થી વધુ પોલીસ જવાનો, રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સની 5 કંપનીઓ, 1500 હોમગાર્ડ જવાનો તથા 800થી વધુ ટ્રાફિક બ્રિગેડના જવાનોને ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે.આ તમામ સુરક્ષાકર્મીઓ શહેરના મુખ્ય ચોકીઓ, પંડાલો અને વિસર્જન માર્ગો પર સતત પેટ્રોલીંગ કરશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે.આગામી ઉત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા શહેરના નાગરિકો અને ગણેશ મંડળો માટે કેટલીક મહત્વપૂર્ણ અપીલો કરવામાં આવી છે. 

વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવા તાકિદ

પર્યાવરણની રક્ષા માટે નાગરિકોને ગણેશ મૂર્તિઓનું વિસર્જન માત્ર તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલા 11 જેટલા કૃત્રિમ તળાવોમાં જ કરવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઉત્સવના દિવસોમાં તેમજ ભવ્ય વિસર્જન સરઘસ વખતે શહેરમાં ટ્રાફિક વ્યવ્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્રાફિક ડાયવર્ઝન અને રૂટ્સનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. ભીડભાડવાળા વિસ્તારોમાં પંડાલોની મુલાકાત વખતે નાગરિકોને પોતાના કિંમતી સામાનની વિશેષ સંભાળ રાખવા તેમજ મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવા પણ તાકીદ કરવામાં આવી છે. વડોદરા પોલીસના આ સઘન આયોજન અને નાગરિકોના સહકારથી આ મહાપર્વ વિઘ્નહર્તાની આરાધના સાથે ઉત્સાહ અને સુરક્ષાના માહોલમાં ઉજવાશે તેવી પૂરી આશા છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : ઈસ્કોન ક્રોસ રોડ પર AMTS ડ્રાઈવરની દાદાગીરી, BRTS કોરિડોરમાં બસ મૂકી ભાગી જતાં વાહનવ્યવહાર ઠપ્પ!