આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રોજ વડોદરાની SSG હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.સાઇકાઇટ્રિક વિભાગના રેસીડેન્ડ ડૉક્ટર્સ દ્વારા આરોગ્ય મંત્રી સમક્ષ સાયકિયાટ્રી વિભાગના ડૉ.ચિરાગ બારોટ વિરુદ્ધ લેખિતમાં ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી.આ ફરિયાદમાં મેડિકલ કોલેજના R1,R2,R3 અને સિનિયર રેસિડેન્ટ સહિત આશરે 18 જેટલા તબીબોએ આરોપ લગાવ્યો હતો કે,ડૉ.બારોટ દ્વારા તેમની શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવી રહી છે.
તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી
આ ઉપરાંત રજૂઆતમાં રેગિંગ,અભદ્ર મેસેજ મોકલવા,કામકાજના સમય પછી પણ અયોગ્ય માંગણીઓ કરવી,હોસ્ટેલના રૂમ નંબર પૂછવા તેમજ ચાલુ કામ દરમિયાન અશ્લીલ ટિપ્પણીઓ કરવા જેવા ચોંકાવનારા આક્ષેપો કરાયા છે.આ ઉપરાંત, ડૉક્ટરોને થીસીસ અને પરીક્ષામાં ફેલ કરવાની ધમકીઓ અપાતી હોવાનું પણ લેખિત રજૂઆતમાં જણાવાયું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સાઇકાઇટ્રિક વિભાગના રેસીડેન્ડ ડૉક્ટરોની રજૂઆતને અત્યંત ગંભીરતાથી લઈ ત્વરિત અને હકારાત્મક નિર્ણય લીધો હતો.રજૂઆતના ટૂંક જ સમયમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી છે.જે અંતર્ગત ડૉ. ચિરાગ બારોટની સરકારી મેડિકલ કોલેજ, વડોદરાથી તાત્કાલિક અસરથી સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે.
