વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર ગામના રેલાઈપુરા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે લગભગ 5:30 વાગ્યાના સુમારે પોતાના ઘરની પાછળ જ આવેલા પ્રસિદ્ધ રાજપીપળા મંદિરે દર્શન કરવા માટે નીકળેલા સગા ભાઈ-બહેનનું વીજળીનો કરંટ લાગવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. વહેલી સવારે બનેલી આ ઘટનાથી મુજપુર ગામ સહિત સમગ્ર પાદરા પંથકમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.

ભાઈને બચાવવા જતાં બહેન પણ વીજળીની ઝપેટમાં આવી

25 વર્ષીય જયદીપ અને તેની 22 વર્ષીય બહેન મિત્તલ વહેલી સવારે દર્શનાર્થે જઈ રહ્યા હતા. તે સમયે અચાનક 25 વર્ષીય જયદીપને વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. ભાઈને તરફડતો જોઈને 22 વર્ષીય મિત્તલ પોતાના ભાઈને બચાવવા માટે આગળ ધપી હતી, પરંતુ તે પણ વીજળીના લાઈવ વાયર કે કરંટની ઝપેટમાં આવી ગઈ હતી. કરંટ એટલો તીવ્ર હતો કે ભાઈ-બહેન બંનેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું.

પાદરા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

આ બનાવ અંગેની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પાદરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને બંને ભાઈ-બહેનના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. વહેલી સવારે મંદિરે દર્શન કરવા ગયેલા બે યુવાન સંતાનોના એકસાથે મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. પાદરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો