વડોદરા શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના જાણીતા સીધેશ્વર ગ્રુપ અને 'સીધેશ્વર પ્રાઇમ પ્લસ' યોજનાના બિલ્ડર પાનસુરિયા બંધુઓની વડોદરા પોલીસે ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા આરોપી બિલ્ડરોમાં સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાનો સમાવેશ થાય છે. આ બિલ્ડર બંધુઓએ ગ્રાહકો પાસેથી ફ્લેટ બુકિંગના કરોડો રૂપિયા મેળવ્યા બાદ પ્રોજેક્ટનું કામકાજ અધૂરું છોડીને ફરાર થઈ ગયા હતા, જેને પગલે તેમની સામે છેતરપિંડીની ગંભીર ફરિયાદો નોંધાઈ હતી.

ઠેકરનાથ વિસ્તારના અનેક રોકાણકારો છેતરાયા

આ બિલ્ડર બંધુઓ સામે વડોદરાના હરણી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ હરણી પોલીસ મથકની ટીમે ચક્રગતિમાન કરીને બંને આરોપી બિલ્ડરોની ધરપકડ કરી છે. ખાસ કરીને ઠેકરનાથ વિસ્તારમાં સીધેશ્વર ગ્રુપની સાઈટ પર મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વપ્નના ઘર માટે જીવનભરની મૂડી રોકી હતી, પરંતુ બિલ્ડર બંધુઓએ સાઈટનું કામ અધૂરું મૂકી ભાગી જતાં રોકાણકારો અને ગ્રાહકો રસ્તે રઝળતા થઈ ગયા હતા.

અન્ય બિલ્ડરોમાં ફફડાટ અને રોકાણકારોને ન્યાયની આશા

ગ્રાહકો પાસેથી બુકિંગ એમાઉન્ટ મેળવ્યા બાદ સાઈટ અધૂરી રાખીને રફુચક્કર થઈ જતાં બિલ્ડરો સામે હરણી પોલીસે આકરી કાર્યવાહી હાથ ધરી છે. પાનસુરિયા બંધુઓની ધરપકડ બાદ વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે જેથી છેતરપિંડીનો કુલ આંકડો અને અન્ય કયા પ્રોજેક્ટમાં તેમણે નાણાંની ગેરરીતિ કરી છે તે બહાર આવી શકે. આ કડક કાર્યવાહીથી છેતરાયેલા રોકાણકારોને પોતાના નાણાં પરત મળવાની કે ન્યાય મળવાની આશા બંધાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો