દેશભરમાં પ્રસિદ્ધ શિનોર તાલુકામાં અંબાલી મુકામે માં નર્મદાના કિનારે આવેલ અનસુયા માતાનું મંદિર જે આસ્થાનું પ્રતીક છે, આજે વકીલ પુત્રી રોમા તથા તેના પિતા દ્વારા પાંચ તોલા સોનાનો હાર અને સોનાની બુટ્ટી મંદિરના કાયમી ટ્રસ્ટી શિનોર મામલતદારને માતાજીને પહેરાવવા અર્પણ કરેલ છે.


મોટા ફોફ્ળયાના વતની રોમા હસમુખ છોટાભાઈ પટેલ (વકીલ) જેઓ હાલ ડભોઇ રહે છે. તેઓના પિતા હસમુખ પટેલ અગાઉ સાધલી તથા શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા. પિતા-પુત્રી શરૂઆતથી શ્રી અનસુયા માતામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. માતાજીથી પ્રભાવિત થઈને આજરોજ તા. 18 ઓક્ટોબર 2025ને શનિવારે શિનોર મામલતદાર કચેરીમાં આવીને અનસુયામાતાજી મંદિરના સરકારી ટ્રસ્ટી એવા મામલતદાર રજા પર હોવાથી રેવન્યુ અધિકારી વણજારા તથા પુરવઠા વહીવટી અધિકારી રોકીભાઈને પાંચ તોલા સોનાનો હાર તથા સોનાની બુટ્ટી અને મંદિરની દાનપેટી માટે રૂા.5,001 રોકડા આપેલા છે.

સોનાના દાગીના સ્વીકારી, રોકડા રૂપિયા તેઓ દ્વારા દાન પેટીમાં નાખવા જણાવ્યું હતું.

દાતા રોમા પટેલની ઈચ્છા મુજબ આ દેવ ઉઠી અગિયારશે માતાજીને ચઢાવવા જણાવેલ છે. ત્યારબાદ દર વર્ષે કાર્તિકે પૂનમે માતાજીને ચઢાવવા માટે આપેલ છે. આજના જમાનામાં સોનાના ઉંચા ભાવ હોવા છતાં પણ દાતા રોમા પટેલ દ્વારા શ્રી અનસુયા માતામાં અતૂટ શ્રદ્ધાથી આપેલા હોય તે અન્ય ભક્તો માટે પણ પ્રેરણા રૂપ બની રહેશે.


  • Follow us on: