શહેરના વૃદ્ધને શેર બજારમાં રોકાણ કરાવી તગડા નફાની લાલચ આપી ભેજાબાજોએ રૂા.23.33 લાખ પડાવ્યાં હતાં. આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાતે ગુનો નોંધાયો હતો.


હરણી વિસ્તારમાં રહેતા અજયકુમાર ભટ્ટ (ઉં.61) નિવૃત્ત જીવન ગુજારે છે. ગત મે મહિનામાં ફેસબુક પર ઈન્ડિયન ફાઈનાન્સ મિનિસ્ટર ફોટો સાથે ક્વૉન્ટમ ઈન્વેસ્ટમેન્ટ અંગે ઍક્સવેન્ટર કંપનીની જાહેરાત તેમને જોઈ હતી. જે દર મહિને થોડા રોકાણ સામે સારા રિટર્નની લોભામણી જાહેરાત હતી. વૃદ્ધને વિશ્વાસ આવતા લિંક ઓપન કરી રિજસ્ટ્રેશન કરાવ્યું હતું. જે બાદ અજાણ્યા નંબરથી તેમના ફોન આવ્યો અને કોલ કરનારે પોતાની ઓળખ માનવિક શાહ તરીકે આપી હતી. ઈન્ટરનેશનલ સ્ટોકમાં રોકાણ કરે જે, ઈન્ડિયન માર્કેટ કરતા સારું રિટર્ન આપતો હોવાની વાત તે શખસે કરી હતી. જેથી વૃદ્ધ પાસે તે શખસે રૂા.20,933 ભરાવી એપ ડાઉનલોડ કરાવી હતી. 27 મેના રોજ રૂા.3,072 નફો વૃદ્ધના ખાતામાં જમા થયો હતો. ત્યારબાદ ભેજાબાજે વિદેશી નંબરના વોટ્સએપ પરથી વિવિધ ખાતાની વિગતો મોકલી ફંડ ટ્રાન્સફર કરાવ્યું હતું. દરમિયાન ઈઝરાયેલ-ઈરાનના યુદ્ધને કારણે 50 ટકા રકમનું નુકસાન થઈ ગયું હોવાનું કહ્યું હતું. 40 ટકા રકમ નહીં ભરવામાં આવે તો રોકાણ ઝીરો થવાની પણ ચીમકી આપી હતી. જેથી 13થી 26 જૂન વચ્ચે વૃદ્ધે 17 લાખ બૅંક ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતાં. જે બાદ રૂા.84 લાખ નફો એપમાં બતાવાયો હતો. US$ 96,712 નફો બતાવાયો વૃદ્ધના ખાતામાં તે રકમ જમા થઈ ન હતી. પેમેન્ટ ન મળતા માનવિકે એન્ટિ મની લોન્ડરિંગ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવા વૃદ્ધને જણાવ્યું હતું. 10મી જુલાઈએ અજય માથુર નામના વ્યક્તિએ તેમને ઈ-મેઈલ મોકલ્યો હતો. જેમા પેમેન્ટ અંગે કેટલાક દસ્તાવેજની ચકાસણી માટે માગણી કરી હતી. જે બાદ US$ 71,995ના 30 ટકા એટલે રૂા.18.57 લાખ ભર્યાં બાદ નફાની રકમ ખાતામાં જમા થવાનો ઈ-મેઈલ વૃદ્ધને મોકલાયો હતો. આખરે પોતાની સાથે વિશ્વાઘાત થયો હોવાની જાણ થતાં વૃદ્ધે પોલીસનો સંપર્ક કર્યો હતો. સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પાંચ અજાણ્યા શખસ સામે રૂા.23.32 લાખની ઠગાઈનો ગુનો નોંધાયો હતો.


  • Follow us on: