વડોદરા ગ્રામ્યની હદમાં આવેલા સાંકરદા ગામ પાસે વિદ્યાર્થીઓએ એસટી બસોની અનિયમિતતાથી કંટાળીને ફરી એકવાર ચક્કાજામ કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓએ વડોદરા-વાસદ-આણંદ રૂટની બસો રોકીને પોતાનો ભારે રોષ ઠાલવ્યો હતો. આ ચક્કાજામના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ નંદેશરી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.
બસોની અનિયમિતતા હોવાનો આરોપ
વિદ્યાર્થીઓનો આરોપ છે કે બસોની અનિયમિતતા અને અપૂરતી વ્યવસ્થાના કારણે તેમને દરરોજ મુશ્કેલી વેઠવી પડે છે. આ મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી નિગમને પત્ર લખીને યોગ્ય રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
