વડોદરાના વાઘોડિયા ચોકડી જેવા ગીચ ટ્રાફિક અને હાઇવેના જંક્શન પાસે જાહેરમાં થયેલા ફાયરિંગની ઘટનાથી સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ હતી. કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી આ ઘટનાને ઉકેલવા વડોદરા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં જ આ કેસના બે મુખ્ય સૂત્રધારો ગુરુજીત ભઠ્ઠી અને વિક્રમ સિંહને છત્તીસગઢથી દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે.

આંતરરાષ્ટ્રીય કનેક્શન અને માથાભારે તત્વોની સંડોવણી

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી વિક્રમ સિંહ અને ભોગ બનનાર વેપારી આશિષ અગાઉ વિદેશમાં (ફિજિ દેશમાં) સાથે રહેતા હતા અને બિઝનેસ કરતા હતા. ત્યાં તેમની વચ્ચે કોઈ ગંભીર આર્થિક લેણદેણ અથવા વ્યક્તિગત બાબતે મોટો વિવાદ થયો હતો. આ વિવાદની અદાવત રાખીને વિક્રમ સિંહે આશિષ પર જીવલેણ હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. વડોદરામાં આશિષની હિલચાલ પર નજર રાખીને વિક્રમે આ કામ માટે માથાભારે ગુરુજીતસિંહ ભઠ્ઠીનો સાથ લીધો હતો. ગુરુજીતસિંહ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ વડોદરા આવ્યા હતા અને વાઘોડિયા ચોકડી પાસે આશિષને નિશાન બનાવી ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા.

છત્તીસગઢમાં સેફ હાઉસ શોધે તે પહેલાં જ પોલીસ ત્રાટકી

ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ બંને શૂટરો ગુજરાત સરહદ વટાવીને મધ્યપ્રદેશ થઈ છત્તીસગઢ ભાગી ગયા હતા. વડોદરા પોલીસની ટીમે સીસીટીવી કેમેરા અને મોબાઇલ લોકેશનના આધારે પીછો કરીને છત્તીસગઢમાં રેડ પાડી બંનેને હથિયારો સાથે દબોચી લીધા હતા. હાલ પોલીસે ગુનામાં વપરાયેલા વાહનો અને હથિયારો રિકવર કરવા તેમજ આ ગુનામાં અન્ય કોઈ સ્થાનિક લાઇનમેન કે મદદગાર સામેલ છે કે નહીં તે દિશામાં વડોદરા લાવીને કડક પૂછપરછ અને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Jamnagar: ખેતીવાડી વિસ્તાર પાસે દલિત યુવક પર છરી વડે જીવલેણ હુમલો, સારવાર દરમિયાન નીપજ્યું મોત