વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી કલપચંદ્ર યુનિક સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ગટર લાઇન ઉભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. સોસાયટીના મુખ્ય માર્ગો અને ઘર આંગણે ગટરના દુર્ગંધયુક્ત પાણી ફરી વળતા સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. દૈનિક અવરજવર માટે પણ લોકોએ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે, જેના કારણે સોસાયટીમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
રોગચાળો ફેલાવવાનો સ્થાનિકોમાં ભય
ગટરના ખુલ્લા અને ઉભરાતા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આ સાથે જ સોસાયટીમાં મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી ગયો છે. ચોમાસા અને બદલાતા હવામાન વચ્ચે ગંદકીના સામ્રાજ્યને કારણે ડેન્ગ્યુ, મલેરિયા અને ઉલટી-ઉબકા જેવા રોગચાળાનો ભય સોસાયટીના બાળકો તેમજ વૃદ્ધો પર તોળાઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો સત્વરે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મોટો આરોગ્ય વિષયક પ્રશ્ન ઊભો થશે.
વારંવારની રજૂઆતો છતાં તંત્ર નિંદ્રાધીન
સોસાયટીના રહીશો દ્વારા આ કાયમી સમસ્યા અંગે વાઘોડિયા નગરપાલિકા તેમજ સંબંધિત વિભાગોમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિકોનો આરોપ છે કે, તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ સ્થળ પર આવીને કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી. સરકારી અધિકારીઓ અને નગરપાલિકાની આ ઘોર બેદરકારીને કારણે રહીશોની ધીરજ ખૂટી ગઈ છે.

રહીશોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો
તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા માટે સોસાયટીના પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રોષે ભરાયેલા રહીશોએ સ્થાનિક પ્રશાસન વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ તકે સ્થાનિકોએ મીડિયા સમક્ષ આવીને નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને પોતાની હાલાકી વર્ણવી હતી.

ઉકેલ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન
સોસાયટીના રહીશોએ નગરપાલિકાને આખરી અલ્ટીમેટમ આપતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો ગટર લાઇનની યોગ્ય સફાઈ અને કાયમી નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. તંત્ર દ્વારા આ મુદ્દે હવે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો - Vadodaraના છાણીમાં ચાઈનીઝના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો: મંચુરિયન રાઈસમાંથી મૃત ગરોળી મળતાં હંગામો