કોંગ્રેસનો ગઢ ગણાતી વાવ વિધાનસભા સીટ પર અનેક ચૂંટણીઓમાં ઉતાર ચડાવ જોવા મળ્યો છે. વિધાનસભાની ચૂંટણીઓમાં ક્યારેક કોંગ્રેસ બાજી મારી જાય તો ક્યારેક ભાજપ બાજી મારી જાય. ત્યારે ભાજપની રાજ્ય સરકારે આ બેઠક પર મોહર મારી ભાજપના ધારાસભ્યને મંત્રીપદ આપી રાજકીય દાવ ખેલતા અનેક સમીકરણોમાં બદલાવ આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. સરહદી વાવ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવાથી ભાજપ માટે આ બેઠક કબજે કરવી ખૂબ જ અઘરી બની હતી. 2017 અને 2022માં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ બેઠક પર જીત મેળવી કબજો મેળવ્યો હતો. ભાજપને કારમી હારનો સામનો કરવાની ફરજ પડી હતી.


જોકે 2024ની લોકસભાની ચૂંટણી આવતા કોંગ્રેસે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો દબદબો યથાવત રાખવા પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. તેઓએ લોકસભાની બેઠક પરથી જીત મેળવી હતી. ત્યારે ખાલી પડેલી વાવ બેઠક પર ભાજપે આ બેઠક કબજે કરવા ઠાકોર સમાજના સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતારતા ભાજપે આ બેઠક કબજે કરી હતી. બીજી તરફ્ સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનુ કદ વધી ગયું હતું. ત્યારે ભાજપે મંત્રીમંડળમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ આપી ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી વાવ બેઠક પર કાયમી ભાજપનો દબદબો યથાવત રહે તેવી વ્યુહ રચના ઘડી છે. બીજી તરફ્ ઠાકોર સમાજ પર સારી એવી પકડ ધરાવતા સાંસદ ગેનીબેન ઠાકોરને પણ ભાજપે આપેલા ઠાકોર સમાજને મંત્રી પદની કેટલી અસર પડે છે તે તો આગામી સમયમાં ખબર પડશે. જોકે હાલના તબક્કે જોતા ઠાકોર સમાજને આપેલા આ મંત્રીપદની રાજકીય અસર સમગ્ર બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લા પર પડે તેવી સંભાવનાઓ છે.


  • Follow us on: