ત્યારે અકસ્માતની ભીતી સાથે સોસાયટીની મહિલાઓ અને બાળકોએ સોમવારે વઢવાણ નાયબ કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી હતી. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાંથી દોડતા ડમ્પરો અનેકવાર યમરાજાનું સ્વરૂપ ધારણ કરી લે છે. છાશવારે બનતા અકસ્માતોમાં માનવ જિંદગી પણ હોમાય છે. ત્યારે સોમવારે વઢવાણ મેળાના મેદાન પાસે આવેલ શિવરંજની સોસાયટીની મહિલાઓ અને બાળકોએ વઢવાણ નાયબ કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી હતી.
આ રજુઆતમાં જણાવાયા મુજબ સોસાયટીમાં 30થી વધુ મકાનો આવેલા છે. સોસાયટીમાં સીંગલ પટ્ટી રોડ છે. આ રોડ પર દૈનીક 250થી વધુ ડમ્પરો પુરપાટ ઝડપે અવરજવર કરે છે. જેને લઈને બાળકોને શાળાએ લેવા-મુકવા જતી વખતે અકસ્માતની ભીતી રહે છે. આ ઉપરાંત શેરીમાં રમતા બાળકોને ડમ્પર ચાલકો અડફેટે લે તેવો ડર મહિલાઓને રહ્યા કરે છે. આથી આ સોસાયટીમાંથી ચાલતા ડમ્પરો બંધ કરાવવા અને રહેણાક મકાનો નથી તેવા જીન રોડ પરથી ડમ્પરો દોડાવવા રજુઆતના અંતે માંગણી કરાઈ છે.










