અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના શાસકો અને અધિકારીઓ મીટિંગોના દોર કરીને શહેરીજનોને ખાતરી આપે છે કે આ વર્ષે ચોમાસામાં પાણી નહીં ભરાય. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ પડેલા સામાન્ય વરસાદે જ તંત્રના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. અમદાવાદના ઔદ્યોગિક હબ અને વ્યસ્ત ગણાતા નારોલ રોડ પર ગત રોજ પડેલા સામાન્ય વરસાદમાં જ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર હાઇવે રોડ તળાવમાં ફેરવાઈ ગયો હતો.
ગટર અને લાઇન સફાઈની કામગીરી માત્ર કાગળ પર
નારોલ રોડ પર પાણી ભરાવાની આ સમસ્યા પાછળ ડ્રેનેજ વ્યવસ્થાની ઘોર નિષ્ફળતા જવાબદાર છે. મનપા દ્વારા ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપીને રોડ સાઇડની કેચપિટ (ગટરના મોં) અને મુખ્ય ડ્રેનેજ લાઇનો સાફ કરાવવાનો દાવો કરાયો હતો. પરંતુ વાસ્તવિકતા એ છે કે કચરો અને માટી લાઇનમાંથી કાઢવામાં જ ન આવી હોવાથી વરસાદનું પાણી રોડ પર જ જમા થઈ ગયું હતું. પાણી ભરાવાના કારણે નારોલ રોડ પરથી પસાર થતાં હજારો વાહનચાલકો, ફેક્ટરીના કામદારો અને સ્થાનિક રહીશોને નરકાગાર જેવી સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. અનેક નોકરીયાતોના વાહનો પાણીમાં બંધ પડી જતાં લોકોમાં તંત્ર પ્રત્યે સખત નફરત અને રોષ જોવા મળ્યો હતો.
ટ્રાફિકજામથી વાહનચાલકો અટવાયા
નારોલ રોડ એ અમદાવાદમાં ભારે વાહનો અને ટ્રાફિકથી ધમધમતો મુખ્ય માર્ગ છે. અહીં પાણી ભરાઈ જવાના કારણે વાહનોની ગતિ સાવ ધીમી પડી ગઈ હતી, જેને પગલે જોતજોતામાં કિલોમીટરો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. એમ્બ્યુલન્સથી માંડીને એસટી બસો અને ખાનગી વાહનો કલાકો સુધી જામમાં ફસાયેલા રહ્યા હતા. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, એએમસી માત્ર પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારોના નિકાલની ચિંતા કરે છે, જ્યારે પૂર્વ અમદાવાદના નારોલ, ઓઢવ, અને વટવા જેવા વિસ્તારોને ભગવાન ભરોસે છોડી દેવાય છે. નાગરિકોએ મનપા કમિશનર અને સત્તાધીશો પાસે માગ કરી છે કે કાગળ પર પ્રી-મોન્સૂનના ગતકડાં બંધ કરી જમીની સ્તરે કામ કરીને આ ટ્રાફિક અને જલભરાવની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે.
આ પણ વાંચો:Surat: ઉધના ભીમનગર ગરનાળામાં ભરાયા ઢીંચણસમા પાણી, વાહનચાલકો અને સ્થાનિકો હેરાન-પરેશાન









