ગુજરાતમાં વર્તમાન સમયે આકરી ગરમીના કારણે નાગરિકો તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના હવામાનને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ બુલેટિન જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં પવનની ગતિમાં નોંધપાત્ર ફેરફાર થવા જઈ રહ્યો છે, જેને કારણે અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો સક્રિય થશે. આ સિસ્ટમના કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી ૭ દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામશે. અમદાવાદ શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


ઉકળાટથી મુક્તિ નહીં, ભેજનું પ્રમાણ વધશે

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભલે વરસાદની આગાહી કરવામાં આવી હોય, પરંતુ લોકોને તુરંત ગરમીથી સંપૂર્ણ રાહત મળવાની આશા ઓછી છે. હવામાં ભેજનું પ્રમાણ ખૂબ જ ઊંચું રહેવાના કારણે વરસાદ પડ્યા પહેલા અને વરસાદ પડ્યા બાદ પણ અસહ્ય ઉકળાટ અને બફારો યથાવત રહેશે. બપોરના સમયે તાપમાનનો પારો ઊંચો રહેશે અને સાંજના સમયે વાતાવરણમાં પલટો આવી શકે છે. આ પ્રકારની 'હીટ એન્ડ હ્યુમિડિટી' વાળી સ્થિતિના કારણે રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને એલર્ટ રહેવા જણાવ્યું છે.

બંદરો પર એલર્ટ, માછીમારોને દરિયાથી દૂર રહેવા આદેશ

આગામી દિવસોમાં પવનની ગતિમાં અચાનક મોટો વધારો થવાની શક્યતાને જોતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને પોરબંદરના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આશંકા છે. આ સ્થિતિમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે, જેથી તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરવામાં આવી છે. જે માછીમારો મધ્ય દરિયામાં છે તેમને પણ ડિજિટલ વાયરલેસ સિસ્ટમ દ્વારા નજીકના બંદર પર પરત ફરી જવા સંદેશા મોકલાયા છે.

આ પણ વાંચો: Gujarat News: માણસા ખાતે રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગાસન કર્યા


  • Follow us on: