નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા આફતના વરસાદને કારણે ફરી એકવાર પૂરનું ગંભીર સંકટ ઊભું થયું છે. જિલ્લાની મુખ્ય ત્રણેય નદીઓ અંબિકા, કાવેરી અને પૂર્ણામાં ભયાનક ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી છે, જેના કારણે નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ઘૂસી જતાં શહેરના શાંતાદેવી રોડ, બંદર રોડ, કાશીવાડી અને કાછિયાવાડી જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું

બીજી તરફ, લોકમાતા કાવેરી અને અંબિકા નદીઓએ પણ માઝા મૂકતાં બીલીમોરા શહેરમાં પૂરના પાણી ફરી વળ્યા છે. બીલીમોરાના દેસરા, વાડિયા શિપયાર્ડ, ગિરિરાજ સોસાયટી અને રામજી મંદિર વિસ્તાર સહિત ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ અત્યંત કપરી બની ગઈ છે. જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાને કારણે લોકોના ઘરો અને વેપાર-ધંધામાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

9 હજારથી વધુ અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર

ગંભીર બનતી સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા મોડી સાંજ સુધીમાં 9 હજારથી વધુ અસરગ્રસ્ત લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વરસાદી પાણીના ભરાવા અને પૂરના કારણે જિલ્લાના 128 જેટલા અંતરિયાળ અને મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF, SDRF તેમજ ભારતીય સેનાની ટુકડીઓને તૈનાત કરી દેવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી કલેક્ટર મનીષ ગુરુવાણી દ્વારા જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

આ પણ વાંચોઃ Himachalમાં તબાહી! કિન્નૌરમાં NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જવાથી મહિલાનું મોત