નેપાળમાં સર્જાયેલી ભયાનક દુર્ઘટના બાદ સુરતના ત્રણ નાગરિકો ગુમ થયા હોવાના મેસેજ વહેતા થતાં સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે. નેપાળ આફતમાં ગુમ થનારાઓમાં પરેશ નટવરલાલ પટેલ, જ્યોતિબેન પરેશભાઈ પટેલ અને મીનાક્ષીબેન સંજયભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ અંગેની જાણ થતાં જ સુરત ડિઝાસ્ટર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરીને ગુમ થયેલા નાગરિકોના સગા-સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.

માહિતી આપનાર ગીતાબેનનો ફોન સંપર્ક ન થતાં વિગતો મેળવવામાં વિલંબ

આ સમગ્ર મામલે સુરત ડિઝાસ્ટર વિભાગને સૌપ્રથમ જાણ કરનાર કૉલર ગીતાબેનનો સંપર્ક કરવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓ હાલ ફોન ઉપાડી રહ્યા નથી. તંત્ર દ્વારા સતત કૉલ કરવા છતાં સંપર્ક થઈ રહ્યો ન હોવાથી ગુમ થયેલા લોકોની પ્રવાસ યોજના, નેપાળમાં તેમના ચોક્કસ લોકેશન અને ઘટના સમયે તેઓ ક્યાં હતા તે અંગેની ચકાસણી કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

સંપર્ક થયા બાદ જ મળશે સચોટ વિગતો : ડિઝાસ્ટર અધિકારી

સુરત ડિઝાસ્ટર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, જો માહિતી આપનાર કૉલર ગીતાબેન અથવા ગુમ થયેલા નાગરિકોના પરિજનો સાથે સંપર્ક સાધી શકાશે તો જ ઘટના અંગેની સાચી અને સત્તાવાર માહિતી મેળવી શકાશે. હાલમાં તંત્ર દ્વારા તમામ ઉપલબ્ધ નંબરો પર સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે, જેથી નેપાળ સ્થિત બચાવ ટુકડીઓ અને રાજ્ય સરકાર સાથે સમન્વય સાધીને આ ત્રણેય નાગરિકોની સચોટ માહિતી મેળવી શકાય.

આ પણ વાંચો : Chhota Udaipurના મલાજા પાસે ઝોઝ PIની સરકારી કારને નડ્યો અકસ્માત, રોંગ સાઈડ આવેલી વાન અથડાઈ