બોટાદ શહેરમાં ટ્રાફીક સમસ્યા અને લોકોની અવર જવર માટે ટુ-વ્હીલ તથા ફોર વ્હીલ વાહનોનો ઉત્તરોત્તર વધારો થવાના કારણે બોટાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે પોતાને મળેલી સત્તાની રૂએ નીચે મુજબના રસ્તા ઉપર વાહનોને પસાર થવાનો હુકમ ફરમાવ્યો છે.


આ રોડનો કરો ઉપયોગ

બોટાદ શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ , અન્ડરબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતા વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર - સતવારા બોર્ડીંગ થઇ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ કરવાનો રહેશે.તેવી જ રીતે પાળીયાદ રોડ તરફથી આવતા વાહનોએ ટાવર રોડ, રેલ્વે સ્ટેશન રોડ તથા સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઇલ બજાર - કરમશી ભવાન કિરાણા સ્ટોર(તરાના પાન)થી ટાવર રોડ પર પ્રવેશ કરવાનો રહેશે. હવેલી ચોકથી દિનદયાળ ચોક અને હિરા બજારમાં ટ્રાફીક સમસ્યા નિવારવા ફક્ત એકબાજુ દ્વિ-ચક્રી વાહનો પાર્ક કરવા એટલે કે, એકી તારીખે જમણી બાજુ તથા બેકી તારીખે ડાબી બાજુ વાહનો પાર્ક કરવાના રહેશે.

એક માર્ગીય પ્રવેશ રૂટ નક્કી કરાયો

બોટાદ શહેરમાં પીક અવર્સ દરમિયાન એટલે કે સવારના 10 કલાકથી બપોરના 2 કલાક તથા સાંજના 4 વાગ્યાતી રાત્રીના 8 વાગ્યા દરમિયાન શહેરમાં તમામ ભારે વાહનો માટે પ્રવેશ નિશેધ રહેશે. ફોર્ચુન હોસ્પિટલવાળા ખાંચામાં જવા માટે એકમાર્ગીય પ્રવેશ રૂટ કરવો તથા ફોર્ચુન હોસ્પિટલવાળા ખાંચામાંથી પાળીયાદ રોડ તરફ બહાર નિકળવા માટે પ્રજાપતિ સમાજની વાડી-બોઇઝ હાઇસ્કુલ, હવેલી ચોક અથવા પટેલ ઇલેક્ટ્રોવિઝન-વાત્સલ્ય વુમન કેર- મોચી સમાજની વાડી-વડોદરીયા હોસ્પિટલ, પાળીયાદ રોડ તરફ એક માર્ગીય પ્રવેશ રૂટ નક્કી કરાયો છે.

આવતા મહિને જાહેરનામું અમલીમાં આવશે

આ જાહેરનામું તા.19-11-2024 સુધી અમલમાં રહેશે. આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

  • Follow us on: