- આંદોલન માટેની નવી રણનીતિ નક્કી કરવામાં આવી
- OPS ની જાહેરાત નહિ કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
- દરરોજ ગાંધીનગર ખાતે બે જિલ્લાના શિક્ષકો આંદોલન કરશે
ઓલ્ડ પેન્શન સ્કીમની માગણીને લઈને શૈક્ષિક સંઘ દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસનું આંદોલન કરવામાં આવ્યુ હતું. રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે, જ્યાં સુધી 2005 પહેલાના શિક્ષકો માટે OPS ની જાહેરાત નહિ કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે બે જિલ્લાના શિક્ષકો રોજે રોજ આંદોલન કરશે. 17 દિવસ સુધી 33 જિલ્લાના શિક્ષકો દરરોજ આંદોલન કરશે. અગાઉ મંત્રીઓની કમિટીમાં 2005 પહેલાના શિક્ષકો માટે OPS ની માગણી સ્વીકારવામાં આવી છે. પણ હવે બે થી ત્રણ વર્ષ થઈ ગયા પણ સરકાર વચન પાળતી નથી. જો ઠરાવ નહિ કરાય તો ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર, શાળાની તાળાબંધી સહિતના કાર્યક્રમો આપવામાં આવશે.
સરકારે વચન પાળ્યા નથી
ગુજરાતના શિક્ષકો અને કર્મચારીઓની જૂની પેન્શન યોજનાને ફરીથી અમલમાં લાવવાના મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)ની લાંબા સમયથી ચાલી રહેલી લડત આજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી છે. 2022માં વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે 2005 પહેલાંના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સામેલ કરવાનો વાયદો કરેલ હતો, પરંતુ આ અંગેનું જાહેરનામું (G.R.) હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
ગુજરાત સરકારના આ નિષ્ક્રિય વલણ સામે ABRSMએ અનેકવાર રજૂઆતો કરી પરંતુ દરેક પ્રયાસ નિષ્ફળ રહ્યો. આંદોલનનું નેતૃત્વ કરનાર ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે, “અમે અહીં કોઈ રાજકીય લાભ માટે નહીં, પરંતુ અમારા અધિકારો માટે લડીએ છીએ. જે વાયદા સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા તે આજે પણ પૂરાં થયેલ નથી. શૈક્ષિક કર્મચારીઓની પ્રાથમિક માગ સમાન રીતે સંપૂર્ણ રીતે નકારી નાખવામાં આવેલ છે.”
ઉત્તરપ્રદેશમાં શિક્ષકોને પેન્શનનો લાભ મળેલ છે
ઉત્તર પ્રદેશમાં 2005 પહેલાંના શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાને પુનઃપ્રારંભ કરવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને, ગુજરાતના શિક્ષકોએ આ મુદ્દાને ફરીથી સરકાર સમક્ષ રજૂ કરેલ છે. તેમ છતાં પણ સરકારની નિષ્ક્રિયતા સામે અસંતોષ અને વિરોધમાં ABRSMએ આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ધરણા કાર્યક્રમ યોજાયેલ હતો.
આ ધરણા માટે રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી શિક્ષકો અને કર્મચારીઓની મોટી સંખ્યામાં હાજરી હતી. મહાસંઘના મહામંત્રી પરેશભાઈ પટેલે જણાવ્યું, “આંદોલનનો હેતુ માત્ર અમારી માંગણીઓ પુરી કરવાનો છે. જો સરકાર અમને યોગ્ય જવાબ નહીં આપે તો અમે આંદોલનને વધુ આગળ લઈ જઈશું. ગાંધીનગરની શિક્ષિકા વૈશાલીબેન પટેલે જણાવ્યું કે, “આજે અમે અહીં અમારા હક્કો માટે એક થઈને લડી રહ્યા છીએ. જૂની પેન્શન યોજના અમારો અધિકાર છે, અને અમે તેનો અમલ કરાવવા માટે બધા પ્રયાસો કરીશું.”
મહત્વનું છે કે, આ આંદોલન સવારે 11 વાગ્યે શરૂ થયું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું હતું. રાજ્યના તમામ જિલ્લાઓમાં આંદોલનને સફળ બનાવવા માટે શિક્ષકોની ઉત્સાહભરી તૈયારી જોવા મળી હતી.









