પાકિસ્તાનમાં સ્વામીનારાયણ મંદિર બનશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનમાં સ્વામિનારાયણની ગુંજ સંભળાશે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના હરિ ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અમદાવાદથી સંતો કરાંચી મંદિર માટે જશે.


કાલુપુર મંદિરની ડિઝાઇન સમાન જ પાકિસ્તાનમાં મંદિર બનશે

વિશ્વમાં આવેલા અનેક સ્વામિનારાયણ મંદિરોમાંથી સૌ પ્રથમ કાલુપુરમાં સ્થાપના થઇ હતી. જેથી પાકિસ્તાનમાં પણ કાલુપુર મંદિરની ડિઝાઇન સમાન જ પાકિસ્તાનમાં મંદિર બનશે. ક્યાં બે સંતોને પાકિસ્તાન મોકલવા તે મુદ્દે આગામી દિવસમાં જાહેરાત કરાશે. મંદિરના સ્ટ્રક્ચર સહિત મુદ્દે ટ્રસ્ટી સાથે સંતોની વાતચીત મિટિંગ શરૂ કરવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિર પાકિસ્તાનમાં ઝડપી બને તે દિશામાં કામ કરાશે.

એક સમયે પાકિસ્તાનમાં અસંખ્ય હિન્દુ મંદિરો હતા. પરંતુ કાળક્રમે તે નાશ થતા ગયા. મુસ્લિમ વસ્તીને કારણે પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર આક્રમણ કરીને તેનો નાશ કરી દેવાયો. હવે ત્યાં ગણ્યાગાંઠ્યા હિન્દુ મંદિરો બચ્યા છે. ત્યારે હવે કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાય એક મોટું પગલું લેવા જઈ રહ્યું છે. કાલુપુર સંપ્રદાય પાકિસ્તાનમાં આવેલા સ્વામીનારાયણ મંદિરનું નવનિર્માણ કરાવશે. આ મંદિર 147 વર્ષ પહેલા પાકિસ્તાનના કરાંચી શહેરમાં બાંધવામાં આવ્યું હતું. 

પાકિસ્તાનમાં છે સ્વામીનારાયણ મંદિર

કરાંચીના સિંધ પ્રદેશમાં આ મંદિર આવેલું છે. પાકિસ્તાનમાં 147 વર્ષ પહેલા કાલુપુર સંપ્રદાય દ્વારા સ્વામીનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1947 માં ભારત પાકિસ્તાનના ભાગલા સમયે ભગવાન સ્વામીનારાયણની એક મૂર્તિ રાજસ્થાનના ઝાલોરના ખાણ ગામ ખાતે સ્થાપિત કરાઈ હતી. જ્યારે કે, અન્ય એક મૂર્તિ કરાંચીના મંદિરમાં જ રાખવામા આવી છે. આજે પણ આ મંદિરમાં મૂર્તિ સચવાયેલી છે. 147 વર્ષ પહેલાં બ્રિટિશરોએ કરાચીના બંદરઘાટ પર મંદિર માટે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી હતી, જેનો સમય પૂરો થયો બાદ લીઝ રિન્યુ કરવા કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આજે આ મંદિરની શું સ્થિતિ છે

આ મંદિર સિંધી હરિભક્તો દ્વારા સાચવવામાં આવે છે. કરાંચીના સિંધ પ્રદેશના લોકો તેની જાળવણી કરે છે. મંદિરને અંદાજે દર વર્ષે 1 થી 2 કરોડ રૂપિયાનું દાન આવે છે. આ દાનનો ઉપયોગ મંદિર માટે જ થાય છે. વર્ષ 1979 બાદથી ભારતથી કોઈ સ્વામીનારાયણ સંત ત્યાં ગયા નથી. હાલ પણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ તથા રાધાસ્વામીની મૂર્તિ છે, જેની રોજ પૂજા કરાય છે. આ મંદિરમાં તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે.

મંદિરનું ફરી નિર્માણ કરવામા આવશે

પાકિસ્તાનના સ્વામિનારાયણ મંદિરના એડવોકેટ સુરેશ જ્હમતભાઈ જણાવ્યા અનુસાર, આવનારા સમયમાં મંદિરના પ્રાંગણમાં વીડો કેમ્પસ (ગર્લ્સ હોસ્ટેલ, મહિલા ઉતારા ભવન) નું નિર્માણ કરવામાં આવશે. મંદિરનું કૂલ ક્ષેત્રફળ 32000 સ્ક્વેર ફુટમાં આ ઉતારા ભવનનું નિર્માણ કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોથી મંદિરના નિર્માણ કાર્યમાં સરકાર બદલાવાના કારણે મંદિર નિર્માણનું કાર્ય અટકતુ હતું. પરંતુ, સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા કાયદાકીય રીતે લડત આપી મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરાવવામાં આવ્યું છે. આ માટે ગુજરાતથી બે સ્વામીનારાયણ સંતો પાકિસ્તાન પણ જશે. ડી. કે. સ્વામી અને ધર્મસ્વરૂપદાસજીને ત્યાંના મંદિરમાં નવનિર્માણ કાર્યમાં સહભાગી થશે. 

  • Follow us on: