રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુજલામ સુફલામ યોજના અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે જળસંચયના કામો કરવામાં આવતા હોય છે તેમાં લોકભાગીદારી અંતર્ગત વ્હોળા, ડીસલ્ટીંગના કામો કરવામાં આવતા હોય છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં 60:40 ના રેશિયામાં લોકભાગીદારીથી કરવામાં આવતા કામોને બ્રેક લાગી છે અને તેમાં હવે જળસંચયના નામે તળાવોમાંથી ઉપડી ગયેલી માટીનો હિસાબ મેળવવા અગાઉથી કરાયેલા કામ બંધ કરાતા રોયલ્ટી ચોરી અને ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી ન થતાં બનાસકાંઠા ભુસ્તર વિભાગ સામે લોકોમાં શંકા ઉપજી છે.
બનાસકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત મોટાભાગે તળાવો ઉંડા કરવાની કામગીરી દરમ્યાન એક જ કામને રીપિટ કરી બીલો બનાવવામાં આવતા હોય છે અને તેમાં લોકભાગીદારીના નામે માટી પુરાણનું કામ કરતા કોન્ટ્રાક્ટરો મોટાભાગે આવી કામગીરી કરતા હોય છે અને તળાવ માંથી નીકળેલી માટી ડમ્પર દીઠ રૂ.2500 જેટલી રકમ પુરાણ માટે વસુલતા હોય છે અને જે માટે નીકળે તે જનહિતના કામમાં વાપરવાની હોય છે પરંતુ તેનો વેપાર કરાય છે અને હાલમાં પાલનપુર અને કાણોદર ખાતે બની રહેલા બ્રીજમાં પણ રોયલ્ટી વગરની માટી નાખવામાં આવી રહ્યાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મંજુર થયેલા કામમાં લોકભાગીદારી અંતર્ગત 60:40 ના રેશિયામાં જે વ્હોળા, ડીસલ્ટીંગના કામો સ્થગિત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અને તેનું ચુકવણુ પણ નહિ કરવા હુકમ કરવામાં આવ્યો છે ત્યારે અત્યાર સુધી તળાવોમાંથી જે માટીની ચોરી કરવામાં આવી અને ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું તે અંગે ભુસ્તર વિભાગ દ્વારા ચેકિંગ કરી અને માપણી કરવાની જરૂર હતી અને તેમાં જે પ્રમાણે રેતીની ચોરી કરવામાં આવી હોય તે મુજબ દંડ વસુલવો જોઈએ પરંતુ આ અંગે જાણે ભુસ્તર વિભાગને જાણ ન હોય તેમ રાતભર ડમ્પરો રસ્તા પર ધુળ ઉડાડતા દોડી રહ્યા છે અને અન્ય વાહન ચાલકોને મુશ્કેલી પડે તે રીતે દોડી રહ્યા છે આ બધુ જ લોકોની નજરે આવ્યું છે પરંતુ ભુસ્તર વિભાગના અધિકારીઓને આ રોયલ્ટી ચોરી કેમ દેખાતી ન હોય તે અંગે સવાલ ઉઠયા છે.










