પાટણ જિલ્લામાં થયેલી બાળકોની તસ્કરીમાં એક બાદ એક ધડાકા થઈ રહ્યા છે. જેમાં પહેલાં ફરિયાદ એક જ બાળકની તસ્કરી મામલે નોંધાઈ હતી. પરંતું આ કેસમાં પોલીસના સકંજામાં આવેલી સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર, રૂપસિંહ ઠાકોરની બાળક તસ્કર ટોળકીએ એક કરતાં વધુ બાળકોની તસ્કરી કરી હોવાનો ભાંડાફોડ થવા જઈ રહ્યો છે.


હાલમાં આ તસ્કર ટોળકીના ત્રણેય આરોપીના રિમાન્ડ ચાલી રહ્યા છે. જેઓ પોલીસ તપાસ દરમિયાન અનેક ખુલાસાઓ કરી રહ્યા છે. સુરેશ અને શિલ્પાએ વધુ એક નવજાત બાળકને વેચવા લાવ્યા બાદ તે મૃત્યુ પામતાં તેને સમી તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના પટમાં દાદર ગામ નજીક દાટી દીધું હોવાના વટાણા વેરી નાખતાં દાટી દેવાયેલા બાળકની તપાસ કરવા માટે રવિવારે પાટણ જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની પોલીસ, સમી પોલીસ, ડોગ સ્કવોર્ડ, મામલતદાર અને ફોરેન્સિકની ટીમ બનાસ નદીના પટમાં પહોંચી હતી. જ્યાં સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને સાથે રાખી તેઓએ કહેલ જગ્યા ઉપર લઈ જઈ ખોદકામ કર્યું હતું. પરંતુ પાંચ કલાકની મહેનત બાદ મીઠુ મળી આવ્યું હતું. પરંતું કોઈ માનવ કે મૃતક નવજાત શિશુના અવશેષ મળી આવ્યા નહોતા.

વેચવા લાવેલ નવજાત બાળક મરી જતાં નદીમાં દાટી દીધું

પોલીસ રિમાન્ડ દરમિયાન સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે અન્ય એક નવજાત શિશુ મામલે પણ પોલીસ સમક્ષ પોતાનું મોઢું ખોલ્યું છે. તેઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે અન્ય એક નવજાત બાળકને વેચવા માટે લાવ્યા હતા. પરંતું તેનો સોદો થાય તે પહેલાં જ બાળકનું કોઈક રીતે મોત નિપજી ગયું હતું. જેથી તે મૃત બાળકને શિલ્પાના ગામ કામલપુર નજીક સમી તાલુકાના દાદર પાસેથી પસાર થતી બનાસ નદીમાં દાટી દીધું હતું. જેથી આ દાટી દેવાયેલ બાળકની તપાસ કરવા અને પુરાવા મેળવવા પોલીસ સહિતની જુદી જુદી ટીમ નદીના પટમાં પહોંચી હતી.

પાંચ કલાકની મહેનત કરી પણ માનવ અંગના અવશેષો ના મળ્યા

પાટણ જિલ્લા SOG ટીમે બનાસ નદીના પટમાં સમી તાલુકાની સીમમાં બાળકના અવશેષોની તપાસ કરવા માટે સ્થાનિક સમી પોલીસ, મામલતદાર, ડૉગ સ્કવોર્ડ, ફોરેન્સિક ટીમ અને તબીબો સાથે નદીના પટમાં પહોંચી હતી. રવિવારે સવારથી નદીના પટમાં સુરેશ અને શિલ્પાએ બતાવેલ જગ્યા ઉપર ટીમોએ તપાસ કરી હતી અને ખોદકામ પણ કર્યું હતું. બે સ્થળે ખોદકામ કરાયું હતું. જેમાં એક સ્થળેથી માત્ર મીઠુ મળી આવ્યું હતું. પરંતું કોઈ માનવ અવશેષ મળી આવ્યા નહોતા.

મીઠુ અને માટીના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલાશે

નદીમાં ખોદકામ દરમિયાન ફોરેન્સિકની ટીમ પણ હાજર હતી. જેથી સ્થળ ઉપરથી મળી આવેલ મીઠુ અને માટીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હવે આ સેમ્પલને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવશે. જેના રિપોર્ટ આવ્યે ખબર પડશે કે સેમ્પલમાં માનવ અવશેષના કોઈ અંશ છે કે નહીં.

નરેશ રબારી અને ધીરેન ઠાકોર રિમાન્ડ દરમિયાન પુછપરછમાં વધુ ભેદ ખોલશે

સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર અને રૂપસિંહ ઠાકોરે તો રિમાન્ડ દરમિયાન પોલીસની ઝીણવટભરી આગવી તપાસમાં વટાણા વેરી જ નાખ્યા છે. જેને પરિણામે આ કેસમાં નરેશ રબારી અને ધીરેન ઠાકોર નામના બે સોદાગરોની પણ એન્ટ્રી થઈ છે. કોર્ટે આ નેરશ રબારી અને ધીરેન ઠાકોરના પણ આગામી તા. 4થી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરી દેતાં હવે પોલીસ તેમનો પણ વારો કાઢશે. જેથી આ કેસમાં હજુ વધુ ભેદ ખુલવાની અને બે કે બેથી વધુ બાળકોની લે-વેચ સામે આવવાની પૂરેપૂરી સંભાવના છે.

સ્કવોડનો ડૉગ ખોદકામ નજીક જ ઝાડીમાં જઈને અટકી જતાં પોલીસની તપાસ રૂંધાઈ

આરોપીઓએ પોલીસને જણાવ્યા મુજબ તેમણે જમીનમાં ઓછી ઊંડાઈનો ખાડો કરીને નવજાત બાળકને દાટી દીધું હતું. જેથી પોલીસે તે સ્થળે ખોદકામ કરતાં કોઈ માનવ અવશેષ જોવા મળ્યા નહોતા. પોલીસે ડૉગ સ્કવોર્ડને પણ સાથે રાખ્યો હોવાથી તેને દોડાવતા ડૉગ પણ નજીક ઝાડીઓમાં જઈને અટકી ગયો હતો. જેથી પોલીસને નવી કોઈ દિશા મળી નહોતી. એક સંભાવના એ પણ છે કે નદીમાં રખડતાં શ્વાન કે અન્ય વન્ય પ્રાણીઓ માનવ અવશેષની ગંધથી આકર્ષાઈને સ્થળ ઉપર આવી ઓછી ઊંડાઈના ખાડામાંથી બાળકને કાઢીને ખોરાકની અપેક્ષાએ ઝાડીઓ તરફ ઉઠાવી ગયા હોય.


  • Follow us on: