- અમરેલીના ખાંભામાં આવેલ ગીરના દાઢીયાળી ગામમાં મુશ્કેલી
- નદી પર પુલ ના હોવાથી પાણીમાંથી ગ્રામજનો થાય છે પસાર
- ગ્રામજનોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ નહી
અમરેલી જિલ્લાના ખાંભા ગીરના દાઢીયાળી ગામથી ખાંભા જવાના જુના રસ્તા પર વર્ષોથી પુલ કે કોઝવે ન હોવાથી ચોમાસામાં ગામજનો મુશ્કેલીમાં મુકાયા છે અને ગામના સામા કાંઠે 70 ખેડૂતોની વાડી,ખેતર,મંદિર અને ગ્રામજનોનો અન્ય પરિવાર રહેતા હોય છે ત્યારે વિધાર્થીઓ હોય કે ખેડૂતો અને ગામજનોને ધાતરવડી નદીના ધમમસતા પ્રવાહમાં જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.
ગ્રામજનો પસાર થાય છે નદીમાંથી
ખાંભા ગામને જોડતો ધાતરવડી નદી પરના રસ્તા પર પુલ ન હોવાના કારણે દર ચોમાસામાં દાઢીયારી ગામના સ્થાનિક લોકો, વિધાર્થીઓ અને ખેડૂતો મુસીબતમાં મુકાય છે અને ગામજનો, વિધાર્થીઓને ખાંભા જવા તેમજ ખેડૂતોને વાડી - ખેતર જવા અને મંદિર જવા આ એક જ રસ્તો છે અને ચોમાસામાં પૂરના પાણી આવી જવાથી ગામજનો અને ખેડૂતોને 8 થી 10 કિલોમીટર ફરી વાડી ખેતર અને ખાંભા જવું પડે છે ત્યારે લોકો જીવના જોખમે ધાતરવડી નદી માંથી પસાર થવું પડે છે અને તંત્ર સામે રોષ ફેલાયો હતો.

નદીની સામાકાંઠે છે મકાનો
દાઢીયારી ગામના ૭૦ જેટલા ખેડૂતો અને ગામના સામા કાંઠે છ પરિવારના બાળકો અભ્યાસ અર્થ આવવામાં મુશ્કેલીઓ પડતી હોય છે અને વિદ્યાર્થીઓને બળદગાડામાં બેસીને ધાતરવડી નદી પાર કરી અભ્યાસ અર્થ જવું પડે છે અને અભ્યાસ બગડતો હોય છે તેમજ સામા કાંઠે આવેલું મંદિરમાં ગામજનોને પૂજાપાઠ કે દર્શન કરવા ચોમાસાના ચાર માસ મંદિરે જઈ શકાતું નથી અને ખેડૂતો, વિધાર્થી અને ગામજનો જીવના જોખમ પર ધાતરવડી નદીના પ્રવાહમાં પસાર થવા મજબૂર બનતા હોય છે અને અગાઉ આ ધાતરવડી નદીના પ્રવાહમાં અનેક પશુઓ અને ગામજનો તણાયા હોવાના બનાવ પણ બન્યા હતા.

તંત્રને રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ નહી
સ્થાનિક ગામલોકો દ્વારા અનેકવાર ધારાસભ્ય અને સ્થાનિક જિલ્લા પંચાયત સદસ્ય અને તંત્રને ધાતરવડી નદી પર પુલ બનાવવા રજૂઆત કરેલ હતી તેમ છતાં તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું અને હવે ખેડૂતો અને વિધાર્થીઓ મુસીબતમાં મુકાયા છે અને જીવના જોખમે નદીના પ્રવાહ માંથી પસાર થાય છે અને જીવના જોખમ ખેડે છે ત્યારે કોઈ અકસ્માત કે પાણીના પ્રવાહમાં કોઈનો જીવ જાય તે પહેલાં પુલ અથવા કોઝવે બનાવવા માંગ ઉઠી છે.