• આ વર્ષે પોલીસ તંત્રમાં 12 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી થશે

  • હવે નવી ભરતીએ નવું બોર્ડ નહીં રચાય, એડી. DGPના અધ્યક્ષપદે બોર્ડ કાયમ રહેશે
  • 621થી વધુ અનુભવી પોલીસબળને નિમણૂંકપત્રોના ફાંફાં

લોક રક્ષક દળ- LRD અને પોલીસ બસ ઈન્સ્પેક્ટર- PSIની ભરતી માટે રાજ્યના ગૃહ વિભાગે છેવટે કાયમી ભરતી બોર્ડ રચ્યું છે. ગુરૂવારે મોડી રાતે ઉપસચિવ અમિત રાવલની સહીથી સાતેક સભ્યોના કાયમી બોર્ડના અધ્યક્ષપદે એડિશનલ DGP અને પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર હસમુખ પટેલની નિમણૂંક કર્યાનું જાહેર કરાયું હતું. ગૃહ વિભાગના આ હુકમમાં CID ક્રાઈમના નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડની પણ નિયુક્તિ કરવામાં આવી છે. હવે એક ઈન્સ્પેક્ટર, બે સબ ઈન્સ્પેક્ટર, બે અંગત મદદનીશ અને એક કચેરી અધિક્ષક એમ પાંચ સભ્યો નિમાશે. ત્યારબાદ આ વર્ષે અંદાજે 12 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થશે.

ગુજરાત પોલીસ તંત્રમાં LRD અને PSIની ભરતી માટે અત્યાર સુધીમાં અસ્થાયી સ્વરૂપે અલગ અલગ ભરતી બોર્ડની રચના થતી હતી. ભરતી પૂર્ણ થતા આવા બોર્ડને વિખેરી દેવામાં આવતુ હતુ. પરંતુ, હવે રાજ્ય સરકારે બંને કેડરની ભરતી માટે અધિક પોલીસ મહાનિર્દેશક- એડિશનલ DGPના અધ્યક્ષપદે કાયમી બોર્ડ રચ્યુ છે. જેમાં સિનિયર IPS બદલાતા રહેશે પણ બોર્ડ યથાવત રહેશે ! આ કાયમી બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની નિયુક્તિ થઈ છે. વિતેલા પાંચેક વર્ષમાં રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ, પેપરલીકેજ અને કૌભાંડોની ઘટનાઓ બહાર આવતા સરકારે પોલીસ તંત્ર ઉપરાંત પંચાયત અને ગૌણ સેવા પસંદગી બોર્ડની ભરતીઓ પણ આ અધિકારીની આગેવાનીમાં પૂર્ણ કરી હતી. નવુ કાયમી બોર્ડ પોલીસ તંત્રમાં અંદાજે 12 હજાર જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલુ નાણાકીય વર્ષે હાથ ધરશે. જેમાં LRD, જેલ સિપાહી સહિતના અલગ અલગ સંવર્ગોનો સમાવેશ થાય છે. જેના માટે લોકસભા ચૂંટણી- 2024 પૂર્વે પરીક્ષા અને રિક્રૂટમેન્ટની કાર્યવાહી પૂર્ણ કરવા સરકારે લક્ષ્યાંક તૈયાર કર્યો છે. ભરતી માટે આગામી સપ્તાહે વિધીવતપણે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ ગૃહ વિભાગમાંથી જાણવા મળ્યુ છે.

મોડ-3માં PSIની પરીક્ષા પાસ કરનારા હજીએ ASI જ રહ્યા !

ગૃહ વિભાગે પોલીસ ભરતી માટે કાયમી બોર્ડ રચીને ફાસ્ટ ટ્રેક ઉપર LRD અને PSIની ભરતી સંપન્ન કરવાનું જાહેર કર્યુ છે પરંતુ, મોડ-3 હેઠળ PSIની પરીક્ષા પાસ કરનારા 621થી વધુ ASI હજીએ ASI જ છે. છ મહિના પૂર્વે જાન્યુઆરીમાં ફિઝિકલ ટેસ્ટ પૂર્ણ થયા પછી પણ પોલીસ તંત્રમાં દોઢ- બે દાયકાનો અનુભવ ધરાવતા બળને નિમણૂંક પત્રો મળી રહ્યા નથી ! PSIની ભરતી પ્રમોશનથી કરવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા દર 3 વર્ષે ASI સંવર્ગના કર્મચારીના પરીક્ષા યોજાય છે. મોડ-3 હેઠળની આ ભરતી કમ પ્રમોશન માટે જાણિતી આ પરીક્ષાનો છેલ્લો તબક્કે વર્ષના આરંભે જાન્યુઆરીમાં જ સંપન્ન થયો હોવા છતાંયે હજી સુધી તેમાં ઉત્તિણ થયેલા 621 ASIને PSI તરીકે નિમણૂંક પત્રો મળ્યા નથી. આ મુદ્દે ગૃહ વિભાગનો સંપર્ક કરતા DGP કચેરીએ ક્લિયન્સની પ્રક્રિયા પૂર્ણ કરી લીધાનો જણાવ્યુ હતુ. જો કે, છ મહિનાથી PSIના પ્રમોશન સાથે નિયુક્તિ મુદ્દે કોઈ ફોડ પાડયો નહોતો. કહેવાય છે કે, નવા રચાયેલા કાયમી ભરતી બોર્ડ સીધી ભરતીથી PSIની જગ્યા ભરવા જાહેરાત પ્રસિદ્ધ કરશે તે પહેલા મોડ- 3માં પસંદ થયેલા ASIને રાજ્યવ્યાપી નિમણૂંકો આપી દેવાશે.


  • Follow us on: