• ગોડાઉનમાંથી જીવાત લોકોના ઘરો સુધી પહોંચી
  • સમગ્ર ઘરમાં જીવાત થતા લોકોને હાલાકી
  • ઘરના વાસણ, કપડા, ખાવામાં પણ જીવાત

સુરતમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી નિકળતી જીવાત સોસાયટીનાં લોકો માટે માથાના દુખાવા સમાન બની છે.સચિન રેલવે સ્ટેશન પાસે આવેલું છે સરકારી અનાજનું ગોડાઉન.ચોમાસામાં ગોડાઉનમાંથી નિકળતી જીવાત લોકોના ઘર સુધી પહોંચી છે.જીવાત સમગ્ર ઘરમાં પસરી જતા લોકો થઈ રહ્યા છે પરેશાન.ઘરના વાસણ,કાપડ અને ખાવામાં જોવા મળી રહ્યા છે જીવાત.

સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ

સચિન વિસ્તારમાં અનાજ ગોડાઉન પર અચાનક જ સ્થાનિકોએ ભારે રોષ સાથે હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ સચિન રેલવે સ્ટેશન પાસેના સરકારી અનાજના ગોડાઉન પર પહોંચી ગઈ હતી. ગોડાઉનમાંથી નીકળતી જીવાત સ્થાનિક લોકોના ઘરમાં આવી જાય છે. આ જીવાત સમગ્ર ઘરમાં પ્રસરી જતાં લોકો પરેશાન થઈ રહ્યા છે. ઘરનાં વાસણ, કપડાં, એટલું જ નહીં ખાવામાં પણ જીવાત મળી રહ્યાનું જણાવ્યું હતું. એ અંગે સ્થાનિકો અનેક વખત સરકારી અનાજના ગોડાઉન સંચાલકને ફરિયાદ પણ કરી ચૂક્યા છે, પરંતુ યોગ્ય નિકાલ ન આવતાં આજે ગોડાઉન પર રેડ કરી હતી.

શું કહેવું છે ગોડાઉન મેનેજરનું

ગોડાઉનના મેનેજર કૌશિક પટેલે જણાવ્યું કે, આ સૌથી મોટામાં મોટું ગોડાઉન છે જ્યાંથી સૌથી વધુ જત્થાની આવક જાવક થાય છે. આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે કે, ઘણા સમયથી અનાજની અંદર જે ધનેડા પડે છે, તે જીવાતો અહીંથી ઉડીને તેઓના ઘર તરફ આવે છે. એમના અનાજ ખરાબ થાય છે. જેના લીધે રોજીંદા જીવનમાં પણ ખૂબ તકલીફ થઇ રહી છે. તેમણે લેખિત અને મૌખિકમાં પણ ફરિયાદો આપી છે. અમારા ગોડાઉનના અનાજ જાણવણીના પ્રોટોકોલ પ્રમાણે એન્જસી મારફતે દવા છંટકાવ સહિતની કામગીરી સમયે સમયે કરીએ જ છીએ. આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી જે સૂચનો મળ્યા તે મુજબની કામગીરી પણ કરવામાં આવી છે

ત્રણ દિવસમાં ઉકેલ લાવવા ચેતવણી

રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા સુરત મહાનગરપાલિકાને અરજી પણ કરવામાં આવી હતી, જેમાં તેમણે જીવાત અંગેની સમસ્યા બાબતે પાલિકાને જાણ પણ કરી છે. સમસ્યા ધ્યાનમાં આવતાં આ જ સુરત મહાનગરપાલિકા દ્વારા સરકારી અનાજના ગોડાઉનના મેનેજર કૌશિક પટેલને લેખિતમાં ચેતવણી આપી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે. જો ત્રણ દિવસમાં કોઈ સમાધાન નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવશે.