લોકસભામાં જીત બાદ વડાપ્રધાનનો પ્રથમ ગુજરાત પ્રવાસ છે. જેમાં GMDC ગ્રાઉન્ડ ખાતે PM સન્માન સમારોહ યોજાશે. PM વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ વડાપ્રધાનના હસ્તે 8 હજાર કરોડના વિકાસના કાર્યોને વેગ અપાશે. તથા અંદાજે 1 લાખ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે
આજે સવારે રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે અને પછી બપોરે 1:30 વાગ્યે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે. ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ દૂરદર્શન થલતેજ પાસે હેલિપેડ પર ઊતરશે, જ્યાંથી બાય રોડ વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ પહોંચશે અને GMDC ગ્રાઉન્ડથી હેલિકોપ્ટરમાં ગાંધીનગર જશે. રિન્યુએબલ એનર્જી કાર્યક્રમના ઉદઘાટન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનાના લાભાર્થીઓના ઘરે જશે. પીએમ મોદી ગાંધીનગરના વાવોલની શાલીન 2 સોસાયટીમાં સવારે 9.45 વાગ્યે રૂબરૂ મુલાકાત માટે પહોંચશે. વાવોલ ખાતે સોલાર રૂફ ટોપ લગાવેલા ઘરની મુલાકાત લઈને વડાપ્રધાન લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે.
રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે
આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરથી PM મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 16થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાશે. ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ આ પ્રસંગે હાજરી આપશે.









