વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી આગામી મહિને એટલે કે માર્ચ મહિનામાં બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 2 મોટા કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
PM 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વિશે વિગતે વાત કરીએ તો તેઓ 7 અને 8 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે અને આ દરમિયાન વડાપ્રધાન વૃદ્ધ વ્યક્તિઓને કીટ વિતરણ પણ કરશે. ત્યારે બીજા દિવસે એટલે કે 8 માર્ચે નવસારીમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન હાજરી આપશે. મહિલા દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજર રહેશે. વડાપ્રધાન તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સુરતના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે અને ત્યારબાદ 8 માર્ચે સાંજે નવસારીથી દિલ્હી પરત ફરશે.
અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમનું આયોજન પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. વડાપ્રધાન મોદીના આગમનને લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય કાર્યક્રમમાં ભાજપના અનેક મોટા નેતાઓ પણ જોડાશે તેવી શક્યતાઓ રહેલી છે. આ પહેલા પણ વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. તે દરમિયાન વડાપ્રધાને વડોદરા અને અમરેલીના કાર્યક્રમમાં હાજરી આપી હતી.









