આવતીકાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને 3 દિવસ સુધી વતનમાં રોકાશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી અનેક કાર્યક્રમમાં હાજરી આપશે અને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપના લાખો કાર્યકરોને સંબોધન કરશે.
રેલવે આજે સાંજ સુધી વંદે મેટ્રોના ટિકિટ દર જાહેર કરશે
આ સાથે જ 16 સપ્ટેમ્બરે PM મોદી વંદે મેટ્રો ટ્રેનને પણ લીલીઝંડી આપશે. આ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે. અમદાવાદથી સાંજે 5:30એ ટ્રેન ઉપડશે અને રાત્રે 11:10એ ભૂજ પહોંચશે તો બીજી તરફ મેટ્રો ટ્રેન ભુજથી સવારે 5:05 વાગ્યે ઉપડશે અને સવારે 10:50એ અમદાવાદ પહોંચશે. અઠવાડિયાના 6 દિવસ આ વંદે મેટ્રો ટેન કાર્યરત રહેશે. ત્યારે આજે સાંજ સુધીમાં રેલવે વિભાગ દ્વારા આ વંદે મેટ્રો ટેનની ટિકિટના દરની જાહેરાત કરવામાં આવશે.
વંદે મેટ્રો ટ્રેનમાં મોડ્યુલર ઈન્ટિરિયર, વેક્યુમ ટોયલેટ સહિતના મળશે આ સુવિધાઓ
તમને જણાી દઈએ કે વંદે મેટ્રો ટ્રેન મોડ્યુલર ઈન્ટિરિયર, વેક્યુમ ટોયલેટ, સેન્ટ્રલી કંટ્રોલ ઓટોમેટીક સ્લાઈડીંગ ડોર, એસી ડ્રાઈવર કેબ સાથેની સુવિધાઓથી સજ્જ હશે. આ સાથે જ મોબાઈલ ચાર્જિંગ સોકેટ, એલઈડી લાઈટ, રૂટ મેપ ઈન્ડિકેટર, પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ અને ફાયર ડિટેક્શન સુવિધાઓ હશે. વંદે મેટ્રો ટ્રેનમાં સ્મોકિંગના ધુમાડા સામે પણ ફાયર અલાર્મની સુવિધા આપવામાં આવી છે. જેથી ફાયરની કોઈ મોટી સમસ્યા ના સર્જાય. મુસાફરો માટે આ ટ્રેન એક અઠવાડિયામાં 6 દિવસ કાર્યરત રહેશે.
PM મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર
PM નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસ સુધી ગુજરાતની મુલાકાતે રહેશે, ત્યારે વડાપ્રધાન મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ PM 15 સપ્ટેમ્બરે બપોર બાદ ગુજરાત આવશે અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી 4.30 કલાકે વડસર જશે અને વડસરમાં નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. ત્યારબાદ PM 15 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે રાજભવન જશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.
વડાપ્રધાન મોદી રાજભવનમાં અલગ અલગ બેઠકોનું આયોજન કરે તેવી શક્યતા
આ સાથે જ રાજભવનમાં અલગ અલગ બેઠકોનું આયોજન પણ થઈ શકે છે. તે પછી 16મી સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી આપશે અને ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટ શરૂ થશે. ત્યારબાદ વડાપ્રધાન બપોરે 12:00 વાગ્યે રાજભવન પરત આવશે અને બપોરે 1.30 વાગ્યે ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ પણ કરશે. તે પછી બપોરે 3.30 કલાકે GMDCમાં કાર્યક્રમમાં હાજરી આપશે, કાર્યકર્તાઓને સંબોધન કરશે. ત્યારે સાંજે 6 વાગ્યે રાજભવન પરત આવશે અને 17 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે ભુવનેશ્વર જવા માટે રવાના થશે.









