અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા વૃક્ષારોપણની નોંધ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મનકી બાતમાં લીધી.
ત્રણ વર્ષમાં 93 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા અને તેના કારણે ગ્રીન કવર વધ્યું. આ બાબતની વડાપ્રધાને સરાહના કરી. આૃર્યની વાત છે કે, અમદાવાદ સુધી જેની હદ અડી ગઈ છે તે ગાંધીનગરમાં વિકાસને લઈ મોટાપાયે વૃક્ષોનું છેદન થયું તેની સામે મોટા ઉપાડે વૃક્ષારોપણ કરાય રહ્યા છે, પરંતુ હજુ સુધી અમદાવાદને સમકક્ષ થઈ નથી શક્યું. વૃક્ષારોપણ પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા છતાં ગાંધીનગરની ખૂદ વડાપ્રધાન નોંધ લઈ શકે એવું કામ કરવામાં ભાજપની જ ચૂંટાયેલી પાંખ નિષ્ફળ ગઈ છે.
ગાંધીનગરમાં વૃક્ષોનું આવરણ વધે, ગ્રીનકવર વધે તે દિશામાં ઘણા સમયથી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ત્રણ વર્ષમાં અમદાવાદમાં 93 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા અને તેના કારણે હાલનું વૃક્ષ આવરણ 60 ચો.કિમી છે. જે શહેરના કુલ વિસ્તારના 12.5 ટકા જેટલું થયું છે. વ્યક્તિદીઠ ગ્રીન કવર 8.4 ચો.કિમી થયું છે. આ એ અમદાવાદ છે જ્યાં સિમેન્ટ-કોંક્રીટના બિલ્ડીંગો જોવા મળતા હતા. પરંતુ અત્યારે 48માંથી 41 વોર્ડમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પણ વૃક્ષારોપણ માટે મોટામોટા ટેન્ડર થયા છે. જેમાં રાજકીય હસ્તક્ષેપો ખૂબ થયા. પડદા પાછળ કેટલાક નેતાઓના ઘરની તિજોરીમાં પૈસા પહોંચ્યા. આ ગ્રીન કૌભાંડ અંગે પ્રદેશના નેતાઓની પણ આંખો ખોલવાનો પ્રયાસ કરાયો. પૂરાવા સાથે રજુઆતો કરવામાં આવી હતી. ભાજપની ચૂંટાયેલી પાંખે અઢી વર્ષ પહેલા અમદાવાદની નકલના ભાગરૂપે મિશન મિલિયન ટ્રી ઝુંબેશની જાહેરાત કરી હતી. પરંતુ એસી ચેમ્બરમાં બેસીને કરાયેલી આ જાહેરાતમાં કંઈ ના ઉકળ્યું.