નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યૂરો, એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ અને નેવીનાં સંયૂકત ઓપરેશન સાગર મંથન-4માં પોરબંદરના સમૂદ્રમાં એક બોટમાંથી 700 કિલો ડ્રગ્સ પકડાયુ છે. જેની એક કિલોની કિંમત રૂ.2થી 5 કરોડ હોઈ અંદાજે 3500 કરોડની કિંમતના માદક દ્રવ્ય સાથે 8 ઈરાની નાગરિકો ઝડપાયા છે.
આ જથ્થો પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યુ છે. નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોને ગુપ્ત માહિતી મળી હતી કે એક અનરજિસ્ટર્ડ જહાજ ભારતીય જળસીમામાં નાર્કોટિક ડ્રગ્સ અથવા સાયકોટ્રોપિક પદાર્થો સાથે પ્રવેશ કરશે. આથી એનસીબીએ ગુજરાત એટીએસ અને નેવીની મદદ લઇ સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. ગત રાત્રે હાથ ધરાયેલ આ ઓપરેશનને સાગર મંથન -4 કોડ નેમ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત મધદરિયે ગઈકાલે રાત્રે શંકાસ્પદ હાલતમાં રહેલી એક બોટને આંતરી હતી.બોટની તપાસ કરતા તેમાંથી સાયકોટ્રોપિક ડ્રગ મેથામ્ફેટામાઇનનો 700 કિલો જેટલો જંગી જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓની આંખો પણ પહોળી થઇ હતી. બોટમાં સવાર 8 શખસોની પ્રાથમિક પૂછપરછમાં તેઓ ઈરાની નાગરિક હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલ ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત રૂ.3500 કરોડ જેટલી થવા જાય છે ત્યારે બોટમાં રહેલ શખ્સોને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદર લાવવામાં આવ્યા છે. અહી એસઓજી કચેરી ખાતે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આથી કોણે અને ક્યાંથી આ ડ્રગ્સ મોકલ્યું છે અને કોને તેની ડિલિવરી આપવાની હતી તે સહિતના મુદ્દે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનો દરિયાકાંઠો માદક પદાર્થોની હેરાફેરી માટે સુરક્ષિત ગણાતો હોય તેમ અવાર-નવાર આ દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવે છે. દેશમાં જે ડ્રગ્સ ઘૂસાડવામાં આવે છે તે ડ્રગ્સ દ્વારા મળતા રૂપિયાનો ઉપયોગ દેશ વિરોધી ષડયંત્રમાં જ કરવામાં આવે છે અને હવાલા મારફ્તે આ રકમ પાકિસ્તાન સુધી પહોંચતી હોવાનું અગાઉ ખૂલ્યું છે ત્યારે વધુ એક વખત કરોડોનું ડ્રગ્સ પકડાતા ચકચાર મચી છે.










